સંસદે શુક્રવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની પુષ્ટિ કરતો સંવૈધાનિક ઠરાવ પસાર કર્યો હતો. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુરૂપ બે મહિનાની અંદર રાષ્ટ્રપતિ શાસનની પુષ્ટિ માટે એક ઠરાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યો હતો.
રાજ્યસભામાં શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે ધ્વનિમત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. લોકસભા પહેલા જ તેને પસાર કરી ચૂકી છે. તેમણે ગૃહને જણાવ્યું હતું કે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રાજ્યપાલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને બહુમતી સભ્યોએ કહ્યું હતું કે તેઓ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. શાહે જણાવ્યું હતું કે ત્યારબાદ મંત્રીમંડળે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી હતી.
'હું સ્વીકારું છું કે 260 લોકોના મોત થયા છે'.
શાહે કહ્યું, "સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, હું બે મહિનાની અંદર આ સંબંધમાં ગૃહની મંજૂરી માટે સંવૈધાનિક ઠરાવ લાવ્યો છું. શાહે કહ્યું કે સરકારની પ્રથમ ચિંતા મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની છે, જ્યાં છેલ્લા ચાર મહિનામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી અને માત્ર બે લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે તેઓ સ્વીકારે છે કે મણિપુરમાં વંશીય હિંસામાં 260 લોકો માર્યા ગયા હતા પરંતુ તેઓ ગૃહને જણાવવા માંગે છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં વધુ લોકો માર્યા ગયા હતા.
અમિત શાહે જણાવ્યું માહોલ બગડવાનું કારણ
ગૃહ મંત્રીએ મણિપુરમાં બગડતી પરિસ્થિતિ પાછળ એક જાતિને અનામત આપવાના અદાલતના ચુકાદાને મૂળ કારણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે બીજા જ દિવસે નિર્ણય પર રોક લગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર મણિપુરમાં વહેલી તકે શાંતિ, પુનર્વસન અને લોકોના ઘા મટાડવા ઈચ્છે છે. ગૃહમંત્રીએ વિપક્ષી દળોને મણિપુરના મુદ્દે રાજકારણ ન કરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીને મણિપુર જવા માટે સમય ન મળ્યોઃ ખડગે
અગાઉ, બિલ પર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મણિપુરમાં આટલી હિંસા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હજુ સુધી રાજ્યની મુલાકાત લેવાની તક મળી નથી. જ્યારે શાસક પક્ષ પર ભારે દબાણ હતું, ત્યારે મુખ્યમંત્રીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. મણિપુરમાં ભાજપની ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે મણિપુરમાં 22 મહિનાથી સ્થિતિ ખરાબ છે અને પ્રધાનમંત્રીએ એક વાર પણ રાજ્યની મુલાકાત લીધી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ મણિપુર પ્રત્યે સરમુખત્યારશાહી વલણ અપનાવી રહ્યો છે.





