આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને AAP પાર્ટી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 'અમે જેલમાં ગયા પછી AAP દ્વારા એકપણ વકીલ ત્યાં હાજર નહતા.” તેમના જણાવ્યા મુજબ, આંદોલન દરમિયાન જેઓએ જીવનમાં ક્યારેય પોલીસ સ્ટેશન પણ જોયું ન હતું એવા લોકોને જેલની હવા ખાવી પડી, પરંતુ મુશ્કેલીના સમયે પાર્ટી તરફથી યોગ્ય સહકાર મળ્યો નહોતો'.
'હું જેલ બહાર ન આવું તેવી આમ આદમી પાર્ટીના પ્રદેશના કેટલાક નેતાઓની મંશા હતી'
રાજુ કરપડાએ વધુમાં આક્ષેપ કર્યો કે AAPના કેટલાક પ્રદેશ નેતાઓએ તેમને જેલમાં વધુ સમય સુધી રાખવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે કહ્યું, “હું જેલ બહાર ન આવું તેવી આમ આદમી પાર્ટીના પ્રદેશના કેટલાક નેતાઓની મંશા હતી.” તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
'જે મોઢેથી પાન ચાવ્યો એ મોઢેથી કોલસો નથી ચાવવો'
તેમણે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે, “હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો હતો.” તેઓએ દાવો કર્યો કે ખેડૂતોના હક્ક માટેનો તેમનો સંઘર્ષ રાજકીય લાભ માટે નહોતો, પરંતુ સિદ્ધાંતો અને લોકોના હિત માટે હતો. અંતમાં તેમણે કહ્યું, “જે મોઢેથી પાન ચાવ્યો એ મોઢેથી કોલસો નથી ચાવવો,” એટલે કે તેઓ પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સમાધાન નહીં કરે. તેમની આ પ્રેસ કોન્ફરન્સ બાદ રાજકીય પરિસ્થિતિમાં ગરમાવો આવ્યો છે અને આગામી સમયમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
"પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા છે, ત્યાં સુધી AAP આગળ નહિ આવે"
રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર નીશાન સાધતાં કહ્યું, "જ્યાં સુધી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા છે. ત્યાં સુધી AAP આગળ નહીં આવે. AAPમાં જે પણ મોટો થવાનો પ્રયાસ કરશે. તેને પણ મારી જેમ પતાવી દેવામાં આવશે."
"AAP માંથી ચૂપ રહેવાનું કહેવા ફોન આવે છે, મનાવવા નહીં"
રાજુ કરપડાએ AAP નો ઉલ્લેખ કરીને કહ્યું, "આમ આદમી પાર્ટીમાંથી હાલ અમને મનાવવા નહીં પણ ચૂપ રહેવાનું કહેવા ફોન આવે છે. અમે જેલમાં જ પડી રહીએ AAP એ તેવા પ્રયાસ કર્યા હતા."
રાજુ કરપડાએ ફેસબુક પોસ્ટ કરી આપ્યું હતું રાજીનામું
રાજુ કરપડાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, “જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.”
આભાર વ્યક્ત કરતા શું લખ્યું?
તેમણે આગળ લખ્યું કે, “મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...!”




















