Home Gujarat Rajpipla Poultry Farm Bird Flu Protest

બર્ડ ફ્લૂનાં કારણે રાજપીપળાનાં લોકોમાં ફેલાયો ભય : પોલ્ટ્રી ફાર્મ બંધ કરાવવા આપ્યું આવેદન

આવેદન આપતા સ્થાનિકોની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 09, 2026, 06:13 AM IST

નર્મદા જિલ્લાનાં નાંદોદમાં આવેલા રાજપીપળા શહેરના લાલટાવર કાળકામાતા રોડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારની અંદર ચાલતા એક પોલ્ટ્રી ફાર્મ સામે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં નવાપુરથી નંદુરબાર સુધી બર્ડ ફ્લૂના કેસોની ચર્ચા અને સંભાવિત ફેલાવા અંગે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, જેના પગલે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા પોલ્ટ્રી ફાર્મને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ વધુ ઉગ્ર બની છે.

સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા તંત્રને સત્તાવાર આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે તેમના રહેણાંક વિસ્તારમાં “પેરેડાઈઝ મરઘા કેન્દ્ર” નામથી પોલ્ટ્રી ફાર્મ ચલાવવામાં આવે છે જેનાથી સતત ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ રહી છે. રહીશોએ જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ અનેક વખત આરોગ્ય વિભાગ, નગરપાલિકા તેમજ પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસ પર તોડબાજીનો આક્ષેપ : બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

વારંવાર રજૂઆતો છતાં પૂરતી કાર્યવાહી નહીં

રહીશોના જણાવ્યા મુજબ, આ પોલ્ટ્રી ફાર્મ વિરુદ્ધ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા ફક્ત સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. એક વખત નગરપાલિકાએ રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ રહીશોના મત અનુસાર આ કાર્યવાહી પૂરતી નથી અને સમસ્યાનું મૂળ નિવારણ કરતી નથી.

સ્થાનિક લોકો કહે છે કે ફાર્મમાંથી નીકળતી ગંદકી, દુર્ગંધ અને જીવાતોના ઉપદ્રવને કારણે આસપાસ રહેતા લોકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને શ્વાસ સંબંધિત તકલીફો તથા ચેપી રોગોના જોખમ વધતા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.

આ પરિસ્થિતિમાં બર્ડ ફ્લૂ જેવી ગંભીર બીમારીના સંક્રમણનો ભય વધુ ચિંતાજનક બની ગયો છે. નવાપુરથી નંદુરબાર સુધી ફેલાતા સંકેતોને ધ્યાનમાં લેતા રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રહેવી જાહેર આરોગ્ય માટે જોખમી છે.

આ પણ વાંચો: ગુજરાતના ન્યાયતંત્રમાં મોટો ફેરફાર : 65 ડિસ્ટ્રિક્ટ જજ સહિત 343 ન્યાયાધીશોની બદલી, જાણો કયા શહેરમાં કેટલા જજ બદલાયા

બર્ડ ફ્લૂનો ભય અને જાહેર આરોગ્યનો મુદ્દો

બર્ડ ફ્લૂ (એવિયન ઇન્ફ્લુએન્ઝા) સામાન્ય રીતે પક્ષીઓમાં ફેલાતો ચેપી વાયરસ છે પરંતુ તેની કેટલીક પ્રજાતિઓ માનવમાં પણ સંક્રમિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર, પોલ્ટ્રી ફાર્મો યોગ્ય નિયમો અને સ્વચ્છતા વગર ચલાવવામાં આવે તો તે ચેપ ફેલાવાનું કેન્દ્ર બની શકે છે.

સ્થાનિક રહીશોનો દાવો છે કે આવા જોખમ વચ્ચે રહેણાંક વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ ચાલુ રાખવું માત્ર કાયદાકીય નહીં પરંતુ માનવીય દ્રષ્ટિએ પણ ખોટું છે. તેઓએ તંત્રને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરીને પોલ્ટ્રી ફાર્મને કાયમી રીતે બંધ કરવામાં આવે.

આ પણ વાંચો: વટવા હત્યાકાંડ ભેદ ઉકેલાયો : 34 વર્ષ બાદ DNAથી ફરજાનાની ઓળખ, પતિ સહિત બે ઝડપાયા

પ્રાંત અધિકારીનું સ્થળ નિરીક્ષણ

આવેદનપત્ર મળ્યા બાદ પ્રાંત અધિકારીએ સ્થળ પર મુલાકાત લીધી હતી. અધિકારીએ રહીશોને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. જોકે સ્થાનિક લોકો હવે માત્ર ખાતરી નહીં પરંતુ ઝડપી અને સ્પષ્ટ કાર્યવાહી જોવા માંગે છે. રહીશોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now