Home Gujarat Rajkot Rajkot Aji River Headless Murder Case Solved Child Labourer Dna Identification

રાજકોટમાં 8 વર્ષ જૂના ધડ વગરના માથાના કેસનો ઉકેલાયો ભેદ : બાળ મજૂરી કરાવતા આરોપીની કરાઈ ધરપકડ

પોલીસ સ્ટેશન અને આરોપીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 13, 2026, 09:14 AM IST

રાજકોટ શહેરને વર્ષ 2018માં હચમચાવી નાખનાર આજી નદીમાંથી મળેલા ધડ વગરના માથાના ચકચારી કેસનો આખરે 8 વર્ષ બાદ ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માથું પશ્ચિમ બંગાળના 14 વર્ષના બાળકનું હતું, જેને બાળ મજૂરી માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. લાંબા સમયથી રહસ્ય બનેલો આ કેસ DNA ટેકનોલોજી અને આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે ઉકેલવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ મૃતક બાળકની ઓળખ DNA રિપોર્ટના આધારે સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અજિતમૌલા અઝમતમૌલાને રાજકોટ જેલમાંથી કસ્ટડીમાં લઈને તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરીને હત્યાના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.

2018માં આજી નદીમાંથી મળ્યું હતું માત્ર કપાયેલું માથું

વર્ષ 2018માં રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં આવેલી આજી નદીના પટ્ટમાંથી એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. તે સમયે પોલીસે મૃતકની ઓળખ કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. માથા સિવાય કોઈ અન્ય પુરાવો કે મૃતદેહનો બાકીનો ભાગ ન મળતા કેસ રહસ્યમય બની ગયો હતો. વર્ષો સુધી તપાસ ચાલુ રહી છતાં બાળક કોણ હતું અને તેની હત્યા કોણે કરી હતી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી.

બાળ મજૂરીના દરોડા બાદ ખુલ્યો ભેદ

કેસમાં મહત્વનો વળાંક વર્ષ 2025માં આવ્યો હતો. રાજકોટ એસઓજીએ સોની બજારમાં બાળ મજૂરી અંગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અજિતમૌલા અઝમતમૌલાના કબજામાંથી પશ્ચિમ બંગાળના આશરે 20 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.

બાળકોને તેમના વતનમાં પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા દરમિયાન એક પરિવારે જણાવ્યું હતું કે તેમનું એક બાળક વર્ષો પહેલા ગુમ થયું હતું અને તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ માહિતીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અજિતમૌલાએ કબૂલાત કરી હતી કે પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા એક બાળકની તેણે હત્યા કરી હતી અને તેનું માથું આજી નદીમાં ફેંકી દીધું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં અનામત કેટેગરીનો વિવાદ વધુ ગરમાયો : નવા દસ્તાવેજી પુરાવા કરાયા જાહેર

35 ગુમ બાળકોની વિગતો ચકાસી

રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે દેશના વિવિધ રાજ્યોમાંથી ગુમ થયેલા અંદાજે 35 બાળકોની વિગતોની ચકાસણી કરી હતી. વર્ષ 2018માં મળેલા માથાના આધારે પોલીસ દ્વારા તૈયાર કરાયેલ સ્કેચ પશ્ચિમ બંગાળના એક ગુમ થયેલા બાળકના ફોટા સાથે મળતો આવતો હતો. ત્યારબાદ શંકા વધુ મજબૂત બનતા પોલીસે મૃતકના 2018માં સાચવી રાખેલા DNA સેમ્પલ અને બાળકના માતા-પિતાના DNA સેમ્પલ મેળવીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા. આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલી મેચિંગ પ્રક્રિયા બાદ આશરે છ મહિનાની રાહ પછી DNA રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના આધારે મૃતકની ઓળખ નિશ્ચિત થઈ અને આ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો.

વતન જવાની જીદ બન્યું મોતનું કારણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અજિતમૌલા રાજકોટની સોની બજારમાં બાળ મજૂરો પાસેથી સોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ કરાવતો હતો. મૃતક બાળક સતત પોતાના વતન પશ્ચિમ બંગાળ પરત જવાની માંગ કરતો હતો. ઉપરાંત તેણે પોતાની મજૂરીના બાકી રહેલા પૈસાની પણ માંગણી શરૂ કરી હતી. આ બાબતથી આરોપી ઉશ્કેરાયો હતો.

તપાસ મુજબ આરોપીએ બાળકને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ ગુનો છુપાવવા અને બાળકની ઓળખ ન થાય તે હેતુથી આરોપીએ તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું.

આ પણ વાંચો: ગીરના જંગલ અંગે ઉઠ્યો મોટો વિવાદ : પર્યાવરણ પ્રેમીઓએ PM મોદી અને CMને કરી રજૂઆત

હવે હથિયાર અને અન્ય રહસ્યોની તપાસ

હાલ પોલીસે આરોપી અજિતમૌલા અઝમતમૌલાની કસ્ટડી મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. બાળકનું માથું અને ધડ કયા હથિયારથી અલગ કરવામાં આવ્યું હતું, હત્યા ક્યાં કરવામાં આવી હતી અને મૃતદેહના બાકીના ભાગનું શું થયું તે સહિતના અનેક પ્રશ્નોના જવાબ મેળવવા તપાસ ચાલી રહી છે.

સાથે જ આરોપી અગાઉ કેટલા બાળકોને પશ્ચિમ બંગાળથી રાજકોટ લાવ્યો હતો અને તેમાંથી કેટલા બાળકો સુરક્ષિત છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે વધુ પૂછપરછમાં આ સમગ્ર બાળ મજૂરી અને માનવ તસ્કરીના નેટવર્ક અંગે નવા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો: વડનગરના પ્રાચીન મંદિર ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની નિમણૂંક : 6 મહિનામાં નવા ટ્રસ્ટી માટે ચૂંટણીનો આદેશ

8 વર્ષ બાદ પરિવારને મળ્યો જવાબ

આ કેસ માત્ર હત્યાનો નહીં પરંતુ બાળ મજૂરી, માનવ તસ્કરી અને બાળકોના શોષણ જેવા ગંભીર મુદ્દાઓને પણ ઉજાગર કરે છે. 8 વર્ષથી પોતાના ગુમ થયેલા બાળકની રાહ જોતા પરિવાર માટે DNA રિપોર્ટ દુઃખદ હોવા છતાં સત્ય સામે લાવનાર પુરાવો સાબિત થયો છે. રાજકોટ પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલો આ કેસ આધુનિક ફોરેન્સિક ટેકનોલોજી અને લાંબા ગાળાની તપાસનું મહત્વ દર્શાવે છે, જેનાથી વર્ષો જૂના રહસ્યમય કેસનો પણ ભેદ ઉકેલી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now