કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલંબિયામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને આ દેશ માટે સૌથી મોટો ખતરો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં લોકશાહી વ્યવસ્થા પર હાલમાં ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે. આ નિવેદનથી ભાજપ ગુસ્સે થયો છે, જેમણે તેમના પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
''સૌથી મોટો ખતરો લોકશાહી પર હુમલો છે"
અગાઉ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ભારતમાં ઘણા ધર્મો, પરંપરાઓ અને ભાષાઓ છે. લોકશાહી વ્યવસ્થા બધા માટે જગ્યા પૂરી પાડે છે. પરંતુ હાલમાં, લોકશાહી વ્યવસ્થા ચારે બાજુથી હુમલો થઈ રહી છે." રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, "ભારત પાસે વિશ્વને આપવા માટે ઘણું બધું છે અને તે ખૂબ જ આશાવાદી છે, પરંતુ તે જ સમયે કેટલીક ખામીઓ અને જોખમો છે જેને ભારતે દૂર કરવા જોઈએ. સૌથી મોટો ખતરો લોકશાહી પર હુમલો છે."
રાહુલ ગાંધીએ RSS પર કર્યા ગંભીર આરોપ
તેમણે RSS ની પણ ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપની સાથે RSS ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ''રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની વિચારધારાના મૂળમાં "કાયરતા" છે. 2023માં ચીન વિશે વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે RSS ની વિચારધારા "નબળા લોકોને મારવાની" અને જેઓ મજબૂત છે તેમનાથી દૂર ભાગવાની છે''.