બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં હડકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. હડકવાના લક્ષણો ધરાવતી એક મહિલાનું ગઈકાલે સાંજે મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાતા તાલુકાની આ મહિલાને છેલ્લા કેટલાક દિવસોથી હડકવાના લક્ષણો જણાઈ રહ્યા હતા. ચાર દિવસ અગાઉ તેમને સારવાર માટે પાલનપુર સ્થિત બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હડકવાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યું હતું
મહિલામાં ગળામાં ભારે તકલીફ, પાણી ન પી શકવાની સમસ્યા તેમજ અચાનક ગભરાટ અને અસ્વસ્થતા જેવા લક્ષણો જોવા મળ્યા હતા, જે હડકવાના મુખ્ય સંકેતો માનવામાં આવે છે. ડોક્ટરો દ્વારા તપાસ અને જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન પરિવારજનો મહિલાને અમદાવાદ લઈ જવાનું કહીને પાલનપુર હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા હતા. આ દરમિયાન પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલ તરફથી મહિલાનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં હડકવાનો પોઝિટિવ રિપોર્ટ હોવાનું સ્પષ્ટ થયું હતું.
જાગૃતિના અભાવને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયાં
હડકવાનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં મહિલાને પાલનપુર હોસ્પિટલમાં સતત અને યોગ્ય સારવાર ન મળતા અંતે ગઈકાલે સાંજે તેમનું મોત થયું હોવાનું આક્ષેપ પણ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થા અને હડકવા જેવી જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતિના અભાવને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હડકવો એક જીવલેણ રોગ છે અને સમયસર યોગ્ય સારવાર ન મળે તો તેનું પરિણામ ઘાતક બની શકે છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.




















