ગાંધીનગરમાં ઠાકોર વિકાસ નિગમ અને કોળી વિકાસ નિગમ દ્વારા લોન માટે અમલમાં લાવવામાં આવેલા નવા નિયમો સામે વિરોધ નોંધાવ્યો છે. નિગમમાંથી લેવાતી લોન ઉપર બોજો ચડાવવાની નવી જોગવાઈને લઈ લાભાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સમાજના આગેવાનો અને લોનાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી.
ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં નવા નિયમ સામે વિરોધ
મળતી માહિતી મુજબ, અગાઉ નિગમના જૂના નિયમ અનુસાર લોન આપતી વખતે ઘરની આકારણીના આધારે બોજો ચડાવવામાં આવતો હતો. જોકે ઘણા લાભાર્થીઓ પાસે પ્રોપર્ટીકાર્ડ અથવા 7/12 ના ઉતારા ઉપલબ્ધ ન હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે લોન પ્રક્રિયા જટીલ બની હતી. તાજેતરમાં નિગમ દ્વારા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાં લોન માટે 7/12 ના ઉતારામાં બોજો ચડાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે લોન મેળવનાર ઘણા લાભાર્થીઓના નામ પ્રોપર્ટીકાર્ડ અથવા 7/12 ના ઉતારામાં નોંધાયેલા ન હોવાને કારણે તેમને વધુ મુશ્કેલી પડી રહી છે.
રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
આ નવા નિયમથી વાસ્તવિક લાભાર્થીઓ લોનથી વંચિત રહી જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે વિરોધ નોંધાવતા પ્રતિનિધિઓએ મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળી રજૂઆત કરી હતી અને નવા નિયમોમાં સુધારો કરવાની માંગ કરી હતી. સાથે જ તેઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, જો 10 દિવસની અંદર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. હાલ આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તેની તરફ સૌની નજર છે.




















