Ahmedabad Congress Protest : અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયેલી પદયાત્રાને પોલીસે અટકાવી હતી અને કોંગ્રેસના અનેક નેતાઓ તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. આ પદયાત્રાનું નેતૃત્વ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કરી રહ્યા હતા. કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદને દિલ્હી કોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો તે મુદ્દે વિરોધ વ્યક્ત કરવા માટે આ પદયાત્રાનું આયોજન કર્યું હતું.
કોંગ્રેસની પદયાત્રા પોલીસે અટકાવી
કોંગ્રેસે નહેરુ બ્રિજથી “સત્યમેવ જયતે”ના નારા સાથે પદયાત્રાની શરૂઆત કરી હતી અને આ યાત્રા ભારતીય જનતા પાર્ટીના ખાનપુર ખાતે આવેલા કાર્યાલય તરફ લઈ જવાની યોજના હતી. પરંતુ જ્યારે પદયાત્રા પુલના ખાનપુર છેડા પાસે પહોંચી, ત્યારે પોલીસે તેને અટકાવી દીધી. પોલીસે રસ્તાની બાજુમાં એક વાન મૂકીને આગળનો માર્ગ બંધ કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોની અટકાયત
પદયાત્રા આગળ ન વધે તે માટે પોલીસે કડક વ્યવસ્થા ગોઠવી હતી અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસે આ કાર્યવાહી ને લોકશાહી અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.





















