Surat News: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ઘટેલી એક હ્રદયદ્રાવક ઘટના આખા પાટીદાર સમાજમાં ઉથલપાથલ મચાવી રહી છે. 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની યુવતીએ 13 જુલાઈના રોજ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. નેનુ ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી હતી.
ડિપ્રેશન અને બ્લેકમેલનો ભયંકર અંતઃ
મૃતક નેનુના પિતાના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી એક યુવક તદન અસામાજિક વ્યવહાર કરીને નેનુને હેરાન કરી રહ્યો હતો. નેનુની માનસિક સ્થિતિ પર તેની સીધી અસર પડી હતી. નેનુનાં પિતાએ આરોપી યુવકના પિતાને પણ આ બાબતે જાણકારી આપી હતી, છતાં પણ યુવક દ્વારા યુવતી પર વિવિધ પ્રકારે ત્રાસ જારી રહ્યો. છેલ્લાં બે દિવસથી નેનુ ગંભીર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને જીવનલીલા ટૂંકાવી દઈ પરિજયોને કાળી ઘડીમાં ધકેલી દીધાં. અસામાજિક તત્વોના ત્રાસથી 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકાના આપઘાતના બનાવે રાજ્યભરના પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે.
પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયોઃ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરતની સિંગણપોર પોલીસે તત્કાલ કાર્યવાહી હાથ ધરતાં આરોપી પિતા અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરીને તેને અસહાય સ્થિતિમાં ધકેલ્યા હતા.
મામલો સોશિયલ મીડિયા પર વાયરલ પત્ર સાથે જોડાયો:
આ ઘટનાના એક દિવસ પૂર્વે એક પાટીદાર સમાજના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવતીને મળતી ધમકીઓ અને બ્લેકમેલ વિશે જણાવવામાં આવ્યું હતું. આ પત્ર હવે તપાસના કેન્દ્રબિંદુમાં છે અને પોલીસ દ્વારા એંગલથી તપાસ ચાલી રહી છે.




















