અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સહયોગથી વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર જી એસ મલિકના નેતૃત્વમાં શહેર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ધ્યાન અને મેડિટેશનના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
'ધ્યાન એ એક મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય છે'
પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્યાન એ માત્ર આધ્યાત્મિક પ્રવૃત્તિ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જો ભાવનાત્મક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સંતુલિત રહેશે તો તેઓ વધુ નિષ્પક્ષ, સંયમિત અને અસરકારક રીતે પોતાની ફરજ બજાવી શકશે. તેમણે પોલીસ દળમાં મનોબળ મજબૂત રાખીને સતત પડકારજનક પરિસ્થિતિઓમાં કામગીરી કરવાની જરૂરિયાત પર પણ માર્ગદર્શન આપ્યું હતું.
મેડિટેશનને દૈનિક જીવનનો ઉતારવા અપીલ કરી
આ પ્રસંગે શહેરની સુરક્ષા માટે સજ્જ અને સતર્ક પોલીસ દળ હોવું જરૂરી હોવાનું જણાવી પોલીસ કમિશનરે મેડિટેશનને દૈનિક જીવનનો ઉતારવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા પોલીસ કર્મચારીઓમાં માનસિક શાંતિ, તણાવમુક્તિ અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.




















