PoK Protest: પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoK)માં રાજકીય અને સામાજિક અસંતોષ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. સરકાર વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)એ આજે મુઝફ્ફરાબાદ સુધી 'લૉન્ગ માર્ચ'નું આહ્વાન કર્યું છે. આ આંદોલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન, સુરક્ષા દળોની કાર્યવાહી અને હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. JAACનો આરોપ છે કે, તેમની માંગણીઓને અવગણવામાં આવી રહી છે અને પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનના સુરક્ષા દળોએ સંભવિત ભીડને રોકવા માટે મુઝફ્ફરાબાદ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. હાલ સમગ્ર વિસ્તાર પરિસ્થિતિને લઈને તણાવપૂર્ણ માહોલમાં છે.
JAACએ કેમ આપ્યું 'લૉન્ગ માર્ચ'નું આહ્વાન?
જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનોનું ગઠબંધન છે, જે લાંબા સમયથી સ્થાનિક લોકોના હકો અને સુવિધાઓ માટે અવાજ ઉઠાવી રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે સરકારને આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ પણ કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે હવે મુઝફ્ફરાબાદ સુધી 'લૉન્ગ માર્ચ' યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. JAACની મુખ્ય માંગણીઓમાં ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોની મુક્તિ, સુરક્ષા દળોની કથિત કડક કાર્યવાહી બંધ કરવી, ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પુનઃસ્થાપિત કરવી, વીજળીના દરમાં રાહત તેમજ રોજિંદી જીવન માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.
વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા
સ્થાનિક અહેવાલો અનુસાર રાવલકોટ, મીરપુર, કોટલી, બાગ સહિતના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી શકે છે. આંદોલનને કારણે અનેક વિસ્તારોમાં બજારો બંધ રહેવાની અને માર્ગ અવરોધ (રોડ બ્લોક) થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. લઆંદોલન વધુ ઉગ્ર બનવાની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
38 મુદ્દાના ચાર્ટર પર આધારિત છે માંગણીઓ
JAAC દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ અગાઉ થયેલા સમજૂતીના 38 મુદ્દાના ચાર્ટર પર આધારિત હોવાનું જણાવવામાં આવે છે. તેમાં પાકિસ્તાનમાં વસેલા શરણાર્થીઓ માટે અનામત વિધાનસભા બેઠકો અંગે ફેરવિચારણા, ઘઉંના લોટના ભાવમાં ઘટાડો, વીજળીના દરોમાં રાહત અને જાહેર સેવાઓમાં સુધારાની માંગ કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, હાલની પ્રતિનિધિત્વ વ્યવસ્થામાં અસમાનતા છે અને સ્થાનિક લોકોને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળતું નથી. આ મુદ્દો પણ વિરોધ પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ કારણ બન્યો છે.
હિંસાની ઘટનાઓ બાદ તણાવમાં વધારો
તાજેતરના દિવસોમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ હતી. કેટલાક અહેવાલોમાં જાનહાનિના દાવા કરવામાં આવ્યા છે, જોકે વિવિધ સ્ત્રોતોમાં આંકડાઓ અલગ-અલગ હોવાથી તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સમગ્ર ઘટનાક્રમને કારણે વિસ્તારમાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હોવાનું કહેવાય છે.
મુઝફ્ફરાબાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક
લૉન્ગ માર્ચને ધ્યાનમાં રાખીને મુઝફ્ફરાબાદ તરફ જતાં માર્ગો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર સુરક્ષા દળો પ્રદર્શનકારીઓને રાજધાનીમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કરી શકે છે. જો બંને પક્ષો વચ્ચે સમાધાન નહીં થાય તો વધુ તણાવ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે.
ભારતનું શું કહેવું છે?
ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરની મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જોવા મળતો અસંતોષ ત્યાંના લાંબા ગાળાના શાસન અને વહીવટી પરિસ્થિતિનું પરિણામ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે PoKમાં માનવાધિકાર અને શાસન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે અને પરિસ્થિતિ અંગે જવાબદારી નક્કી કરવામાં આવે.
આગામી દિવસો મહત્વપૂર્ણ
હાલ PoKમાં પરિસ્થિતિ તંગ છે અને JAACના લૉન્ગ માર્ચને લઈને સૌની નજર મુઝફ્ફરાબાદ પર ટકેલી છે. જો સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ચર્ચા દ્વારા કોઈ ઉકેલ નહીં આવે તો વિસ્તારમાં રાજકીય તણાવ વધુ વધી શકે છે. આગામી દિવસોમાં સ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સ્થાનિક લોકો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સમુદાયની પણ નજર રહેશે.





