PNB Bank Update: જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે તાજેતરમાં એવા ખાતાધારકો માટે એક કડક ચેતવણી જારી કરી છે જેમના ખાતા છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ક્રિય પડ્યા છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, જે ગ્રાહકોએ છેલ્લા 36 મહિનાથી પોતાના ખાતામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર (Transaction) કર્યો નથી, તેમના ખાતા આગામી 15 એપ્રિલ, 2026 પછી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી શકે છે.
PNB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સત્તાવાર પોસ્ટ દ્વારા ગ્રાહકોને જાણ કરી છે કે જે ખાતાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પ્રવૃત્તિ થઈ નથી અને જેમાં હાલમાં 'ઝીરો બેલેન્સ' છે, તેવા ખાતાઓને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો ગ્રાહકો ઈચ્છતા હોય કે તેમનું ખાતું બંધ ન થાય, તો તેમણે નિયત સમયમર્યાદા પહેલા જરૂરી બેંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ પર લટકતી તલવાર
બેંકની સૂચના અનુસાર, આ કાર્યવાહી માત્ર એવા ખાતાઓ પર કરવામાં આવશે જે છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ક્રિય છે અને જેમાં લઘુત્તમ બેલેન્સ પણ જાળવવામાં આવ્યું નથી. જો તમે તમારા જૂના ખાતાને ચાલુ રાખવા માંગતા હોવ, તો તમારે 15 એપ્રિલ સુધીમાં તમારી નજીકની PNB શાખાની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને તમારે KYC (Know Your Customer) પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને ખાતામાં નાનો વ્યવહાર શરૂ કરવો પડશે. જો 15 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા નહીં થાય, તો 16 એપ્રિલના રોજ કોઈ પણ પૂર્વ ચેતવણી વગર ખાતું બંધ કરી દેવાશે.
બેંકે કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?
પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગ્રાહકોની સુરક્ષા છે. નિષ્ક્રિય અને ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓનો ઉપયોગ ઘણીવાર સાયબર છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિઓ માટે થવાની સંભાવના રહે છે. આવા જોખમોને ઘટાડવા અને બેંકિંગ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે સમયાંતરે KYC અપડેટ કરવું અનિવાર્ય છે. બેંકિંગ નિયમો મુજબ, લાંબા સમય સુધી વણવપરાયેલા ખાતાઓને મોનિટર કરવા જરૂરી હોય છે.
શું કરવું જોઈએ ગ્રાહકોએ?
જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા PNB ખાતાનો ઉપયોગ કર્યો નથી, તો અત્યારે જ તેની સ્થિતિ (Status) તપાસો. ગ્રાહકો પોતાની હોમ બ્રાન્ચનો સંપર્ક કરીને ખાતું સક્રિય છે કે નહીં તેની ખાતરી કરી શકે છે. જો ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, તો તાજા દસ્તાવેજો (આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) જમા કરાવીને તેને ફરીથી એક્ટિવ કરી શકાય છે.
PNB: દેશની મોટી બેંકિંગ સંસ્થા
નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંક ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે. હાલમાં તેનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 1.30 લાખ કરોડ રૂપિયા છે. શેરબજારમાં પણ PNB ના શેરની મજબૂત સ્થિતિ જોવા મળે છે, જ્યાં બુધવારે શેર 1% ના વધારા સાથે 113.10 ના સ્તરે બંધ રહ્યો હતો. આટલી મોટી બેંક જ્યારે સુરક્ષાના પગલાં લે છે, ત્યારે કરોડો ગ્રાહકોએ સતર્ક રહેવું જરૂરી છે.




















