વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 123મા એપિસોડમાં દેશવાસીઓનું સંબોધન કર્યું. આ પ્રસંગે પીએમએ યોગ દિવસની ભવ્યતાથી માંડીને ઈમરજન્સીના સંસ્મરણો, આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓ અને બોડોલેન્ડની રમતગમત યાત્રા સુધી વિવિધ મુદ્દાઓ પર વાત કરી.
યોગ દિવસનો ઉલ્લેખ:
પીએમએ જણાવ્યું કે સમગ્ર દેશમાં યોગને લઈને અદભૂત ઉત્સાહ જોવા મળ્યો. વિશાખાપટ્ટનમમાં લગભગ 3 લાખ લોકો એકસાથે યોગ કરતા જોવા મળ્યા. નૌકાદળના જહાજોથી લઈને ઉત્તર ભારતમાં વિશ્વના સૌથી ઊંચા પુલ પર યોગનું આયોજન થયું. વડનગરમાં 2100 લોકોએ ભુજંગાસન કરીને રેકોર્ડ બનાવ્યો.
ઈમરજન્સીનો ઉલ્લેખ:
પીએમ મોદીએ 1975ની ઈમરજન્સીને યાદ કરતાં જણાવ્યું કે ત્યારે કેટલાંય નિર્દોષ નાગરિકો પર અણચાહા ત્રાસ ગુજારવામાં આવ્યા હતા. લોકશક્તિએ અંતે વિજય પ્રાપ્ત કર્યો અને ઈમરજન્સી હટાવાઈ. "જનતા જીત ગઈ, ઈમરજન્સી લાદનાર હારી ગયા," એમ પીએમએ સ્પષ્ટ સંદેશ આપ્યો.
આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિ – ટ્રેકોમા મુક્ત ભારત:
PMએ જણાવ્યુ કે WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) દ્વારા ભારતમાં ટ્રેકોમા નામના આંખના ગંભીર રોગના સમૂલ નાશની જાહેરાત કરાઈ છે. આ સફળતાનું શ્રેય આરોગ્ય કર્મચારીઓના સતત પ્રયાસોને આપ્યું.
95 કરોડ લોકોને સરકારી યોજનાઓનો લાભ:
એક તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ, ભારતના લગભગ 95 કરોડ નાગરિકો કે તો સીધા કે આડકતરા રૂપે કેન્દ્ર સરકારની કોઈને કોઈ યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. પીએમએ આને "જનભાગીદારી દ્વારા વિકાસ"નું સચોટ ઉદાહરણ ગણાવ્યું.
ધાર્મિક યાત્રાઓનું મહત્વ:
કૈલાશ માનસરોવર યાત્રાની પુનઃશરૂઆતની ઉજવણી કરતા પીએમએ કહ્યું કે આ યાત્રાઓ આપણા આંતરિક શિસ્ત, ભક્તિ અને સહઅસ્તિત્વની ભાવનાને મજબૂત કરે છે. “ચાલો, બોલાવ્યા છે” – આ ભાવનાને તેમણે યાત્રાઓની આત્મા ગણાવી.
બોડોલેન્ડના યુવાનોની રમતગમત ક્રાંતિ:
બોડો ટેરિટોરીયલ રિજન (BTR)માં હાલ 3 હજારથી વધુ ફૂટબોલ ટીમો અને આશરે 70 હજારથી વધુ યુવાનો રમતમાં જોડાયા છે. કોઈક સમય સંઘર્ષથી પ્રભાવિત રહેલા આ વિસ્તારો આજે રમતગમતના માધ્યમથી નવી ઓળખ બનાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય અંગે PMની સલાહ:
પીએમએ કહ્યું કે સ્થૂળતા ઘટાડી શકાશે જો આપણે ભોજનમાં 10 ટકા તેલ ઘટાડીએ. તેમણે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ પણ કરી.





