રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશને સંબોધિત કર્યું. તેમણે પોતાના ભાષણમાં કાશ્મીર મુદ્દાથી લઈને રાષ્ટ્રીય એકતાના પ્રશ્નો સુધીના અનેક મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટ નિવેદન આપ્યું.
પીએમ મોદીએ જણાવ્યું કે,
“દુર્ભાગ્યવશ, સરદાર સાહેબના અવસાન પછીના વર્ષોમાં તે સમયની સરકારોમાં રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે એટલી ગંભીરતાનો અભાવ હતો. એક તરફ કાશ્મીર પર થયેલી ભૂલો, બીજી તરફ ઉત્તરપૂર્વમાં ઉભી થયેલી સમસ્યાઓ અને નક્સલવાદ–માઓવાદના ફેલાવાએ રાષ્ટ્રની એકતા માટે સીધા પડકાર ઉભા કર્યા હતા.”
મોદીનો કોંગ્રેસ પર સીધો આક્ષેપ
વડા પ્રધાને પોતાના ભાષણમાં સ્પષ્ટ કહ્યું કે,
“સરદાર સાહેબ ઇચ્છતા હતા કે આખું કાશ્મીર ભારત સાથે જોડાય, જેમ તેમણે અન્ય રજવાડાઓને એક કર્યા. પરંતુ નેહરુજીએ તેમની ઇચ્છા પૂરી થવા દીધી નહીં. કાશ્મીરને અલગ બંધારણ અને ધ્વજ સાથે વિભાજિત કરાયું.”
તેમણે ઉમેર્યું કે,
“દાયકાઓ સુધી કાશ્મીર પર કોંગ્રેસની ભૂલની આગમાં દેશ સળગતો રહ્યો. પાકિસ્તાને આતંકવાદ ફેલાવ્યો, પણ કોંગ્રેસ હંમેશા આતંકવાદ સામે ઝૂકી ગઈ. સરદાર સાહેબને ભૂલાઈ ગયા, તેમનું વિઝન ભૂલાઈ ગયું.”
“સરદાર સાહેબનું વિઝન, અમે આગળ વધારી રહ્યા છીએ”
મોદીએ કહ્યું કે ભારત આજે એ દિશામાં આગળ વધી રહ્યું છે, જે દિશા સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે નક્કી કરી હતી.
“અમે એ માર્ગ અપનાવ્યો છે, જે સરદાર સાહેબે બતાવ્યો હતો — એકતા, અખંડતા અને શક્તિશાળી ભારતનો માર્ગ. આજે સમગ્ર દેશ એક ધ્વજ હેઠળ, એક બંધારણ હેઠળ અને એક સંકલ્પ સાથે ઉભો છે.”
રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો
આ પ્રસંગે કેવડિયામાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં BSF, CRPF, CISF સહિતની ટુકડીઓએ ભાગ લીધો. પ્રથમવાર મહિલા અધિકારીઓએ વિવિધ ટુકડીઓનું નેતૃત્વ સંભાળ્યું.
દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધતામાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો.





















