વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી.
આ પ્રસંગે વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના સંકલ્પને પુનઃ પ્રસ્થાપિત કરતા કહ્યું કે સરદાર પટેલનું યોગદાન માત્ર ભારતના એકીકરણ પૂરતું નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિને એક સૂત્રમાં બાંધનાર પ્રેરણાસ્ત્રોત રહ્યું છે.
એકતા પરેડથી ‘વિવિધતામાં એકતા’નો સંદેશ
સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી એકતા પરેડના રૂપમાં કરવામાં આવી રહી છે.
આ પરેડમાં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક સમૂહો ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાનો સંગમ જોવા મળી રહ્યો છે.
પરેડમાં લોકસંસ્કૃતિ, લોકગીતો, નૃત્ય અને પ્રાદેશિક કલા દ્વારા ભારતની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના વ્યક્ત થઈ રહી છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા સ્વયંસેવકો અને સાંસ્કૃતિક કલાકારો ઉપસ્થિત છે.
પરેડમાં સશસ્ત્ર દળોની ભાગીદારી
એકતા પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ટુકડીએ 52 ઊંટ સાથે પોતાના શૌર્ય અને શિસ્તનું પ્રદર્શન કર્યું.
સાથે જ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો પણ પરેડમાં સામેલ થયા છે.





















