વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે તમિલનાડુ પ્રવાસ પહેલાં રાજ્યમાં રાજકીય તોફાન ઉભું થયું છે. તેનકાસી જિલ્લામાં એસઆઈઆર (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ) વિરુદ્ધ ડીએમકેના વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના દક્ષિણ જિલ્લા સચિવ જયપાલે વડાપ્રધાન મોદીની આડકતરી રીતે હત્યાની ધમકી આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
વડાપ્રધાનને જાહેરમાં મારી નાખવાની ધમકી
જયપાલે પોતાના ભાષણમાં મોદીની સરખામણી નરકાસુર સાથે કરતાં કહ્યું હતું: “મોદી તમારા મતો ચોરવા આવે છે, એ બીજો નરકાસુર છે. એને ખતમ કરીને જ તમિલનાડુને ફાયદો થશે. આ લડાઈ આપણે બધા એકસાથે લડીશું અને જીતીશું.”આ નિવેદન પર તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નયનાર નાગેન્દ્રને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે વીડિયો શેર કરતાં લખ્યું: “વિશ્વમાં આદર પામેલા ભારતના વડાપ્રધાનને જાહેરમાં મારી નાખવાની ધમકી આપવી એ તમિલનાડુની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સીધો પ્રશ્ન ઉભો કરે છે.
નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી
આ ભાષણ ચાલુ રહ્યું ત્યારે સ્થળ પર હાજર તેનકાસીના સાંસદ રાની શ્રીકુમાર અને શંકરનકોઇલના ધારાસભ્ય રાજાએ મૌન રાખીને ડીએમકેના હિંસક માનસનું ખુલ્લું દર્શન કરાવ્યું છે. ડીએમકે સરકારે તાત્કાલિક જિલ્લા સચિવ જયપાલની ધરપકડ કરવી જોઈએ.”ભાજપની આ માંગને પગલે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે, જ્યારે ડીએમકે તરફથી હજુ સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે, જેની પૃષ્ઠભૂમિમાં આ વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.



















