બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના કરમાવદ ગામ અને પાલનપુર તાલુકાના ચુલીપાણી ગામના ગ્રામજનોએ પોતાની મૂળભૂત સમસ્યાઓને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બંને ગામોના મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું અને વર્ષોથી લટકતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
'ચૂંટણી સમયે માત્ર મત માંગવા માટે નેતાઓ ગામમાં આવે છે'
ગ્રામજનોએ જણાવ્યું કે, 'ચૂંટણી સમયે માત્ર મત માંગવા માટે નેતાઓ ગામમાં આવે છે, પરંતુ ત્યારબાદ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ લેતા નથી. ગામોમાં આજદિન સુધી રસ્તા, પીવાના પાણી, વીજળી, આરોગ્ય સુવિધા તેમજ જમીનના કબજા ભોગવટા સંબંધિત પ્રશ્નો હલ થયા નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ મળ્યું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે.
ચીમકી: 'આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે'
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. ઉપરાંત, કોઈપણ સરકારી અધિકારી અથવા ચૂંટાયેલા પ્રતિનિધિને ગામમાં પ્રવેશવા નહીં દેવાની પણ ચીમકી આપવામાં આવી છે. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગામોની મૂળભૂત સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે તંત્ર તરફથી શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું છે.




















