બિહારના બહાદુરગંજમાં જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની રેલીમાં અનોખો નજારો જોવા મળ્યો. આ રેલીમાં લોકોની ભીડ નહીં, પરંતુ ખાણીપીણીની વ્યવસ્થાએ બધાનું ધ્યાન ખેંચ્યું. રેલી સ્થળે દાળ-ભાત, શાકભાજી, મટન, વેજ બિરયાની અને અન્ય ખાદ્યપદાર્થોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકો ભાષણ સાંભળવાને બદલે ખાવા પર ટૂટી પડ્યા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી, અને ઘણા લોકોએ આ ઘટનાને લઈને મજાક પણ ઉડાવી.મટન બિરયાની માટે ભેગી થઇ ચિક્કાર ભીડ!
જનસુરાજ પાર્ટી દ્વારા બિહાર બદલાવ યાત્રાના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ બિહારના લોકોમાં રાજકીય જાગૃતિ લાવવાનો અને રાજ્યની શિક્ષણ તેમજ રોજગારની સ્થિતિને સુધારવા માટે પ્રશાંત કિશોરના વિઝનને લોકો સુધી પહોંચાડવાનો હતો. રેલીમાં લોકોની ભીડ એકઠી કરવા માટે પાર્ટીએ ખાસ વ્યવસ્થા કરી હતી, જેમાં ખાણીપીણીનો સમાવેશ થતો હતો. જોકે, આ વ્યવસ્થા ઉલટી પડી, અને લોકો ભાષણને બદલે ખાવા-પીવામાં વધુ રસ લેતા જોવા મળ્યા.
રેલીમાં આવેલા લોકો બિરયાની અને મટનની થાળીઓ લેવા માટે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો ખાદ્યપદાર્થોની લાઈનમાં ઉભેલા અને એકબીજાને ધક્કા મારતા દેખાયા. આ દરમિયાન, રેલીના મુખ્ય સ્થળે ખુરશીઓ ખાલી રહી ગઈ, અને પ્રશાંત કિશોરનું ભાષણ લગભગ અડધું ખાલી મેદાનમાં થયું.
પ્રશાંત કિશોરનું ભાષણ છોડી જમવા માટે ભાગ્યા લોકો!
પ્રશાંત કિશોર, જેઓ એક સમયે ભારતના ટોચના રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા હતા, હવે જનસુરાજ પાર્ટીના સ્થાપક તરીકે બિહારમાં રાજકીય પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ રેલીમાં બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર આકરી ટીકા કરી. તેમણે ભાજપ અને જનતા દળ (યુનાઈટેડ) ગઠબંધન તેમજ વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પર નિશાન સાધ્યું. કિશોરે દાવો કર્યો કે બિહારના 60%થી વધુ લોકો શિક્ષણ, રોજગાર અને નવી વ્યવસ્થાની ઝંખના રાખે છે. તેમણે લોકોને ડરની રાજનીતિને નકારી કાઢવા અને પોતાના બાળકોના ભવિષ્ય માટે મતદાન કરવાની અપીલ કરી.
કિશોરે ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી નેતા લાલુ યાદવ પર આક્ષેપો કર્યા. તેમણે બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા, ખાસ કરીને વોટર લિસ્ટમાં બાંગ્લાદેશી અને નેપાળી નાગરિકોના નામોનો મુદ્દો ઉઠાવીને. તેમણે બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલ પર પણ આક્ષેપ કર્યો કે તેમણે એક શીખ કોલેજ પર કબજો કર્યો છે અને લોકોનું શોષણ કરી રહ્યા છે.
બિહાર બદલાવ યાત્રા અને જનસુરાજનું લક્ષ્ય
પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘બિહાર બદલાવ યાત્રા’નું આયોજન કરી રહી છે. આ યાત્રા હેઠળ તેઓ રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરી રહ્યા છે. કિશોરનું કહેવું છે કે, આગામી ચાર મહિનામાં બિહારમાં ‘જનતાનું રાજ’ સ્થાપિત થશે. તેમણે સુપૌલમાં એક સભામાં દાવો કર્યો હતો કે, જો ચૂંટણી બાદ બિહારમાં શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા નહીં થાય, તો લોકો તેમની ગરદન પકડી લે.





















