વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 2025નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે શરૂ થયેલા આ ‘પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન’માં દેશભરના યુવા ઉદ્યોગસાહસિકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ મહાસંમેલનનો મુખ્ય હેતુ યુવાનોને વ્યવસાય, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો છે.
'આ એપ યુવા ઉદ્યોગસાહસિકોને...'
મહાસંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત યુવા બિઝનેસ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અમિતભાઈ શાહે આ એપના ફાયદાઓ અંગે વિગતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ એપ યુવા ઉદ્યોગસાહસિકોને એકબીજા સાથે જોડવા, વ્યવસાયિક માર્ગદર્શન, નેટવર્કિંગ અને નવી તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને યુવાનો પોતાના વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.
યુવા ઉદ્યોગસાહસિકો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો
કાર્યક્રમ દરમિયાન આશરે 20 હજાર જેટલા યુવા ઉદ્યોગસાહસિકોએ એકસાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો, જેનાથી એક નવો રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયો છે. આ દૃશ્ય જોઈને સમગ્ર પંડાલમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આ પ્રયાસને યુવાનો તરફથી ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મહાસંમેલન યુવા બિઝનેસ ક્ષેત્રે નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















