પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ મુદ્દે દક્ષિણ ગુજરાતમમાં આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં છે. જો કે, ગઈકાલે બુધવારે કેબિનેટ બેઠક બાદ ઋષિકેસ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારને આ પ્રોજેક્ટમાં રસ નથી તેમ છતાં હજુ આ મુદ્દે વલસાડમાં આદિવાસી સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સાથો સાથ સમગ્ર મામલે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને સરકાર પર ભરોસો નથી તેમ કહી ઉગ્ર વિરોધનો મારચો માંડ્યો છે.
આદિવાસીઓમાં આક્રોશ
આ યોજનાને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ભારે વિરોધ કરી રહ્યા છે. આ મામલો 2022માં શરૂ થયો હતો સરકારે ત્યારે પણ કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, પરંતુ 3 વર્ષ બાદ ફરી આ પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યો છે અને તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસને પણ ભાવતું હતું ને મળી ગયું જેવો હાલ થયો છે, કારણ કે, આદિવાસી સમાજની સાથે રહીને સરકાર સામે મોરચો માડવાનો કોંગ્રેસે પણ નક્કી કર્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અંનત પટેલ વલસાડ અને ડાંગ જિલ્લાના ગામડાઓમાં લોકોને ઘરે ઘરે જઈને પ્રોજેક્ટ માહિતી આપી રહ્યાં છે અને સરકાર વિરૂદ્ધ આક્રોશ ઠાલવી રહ્યાં છે.
3 વર્ષ બાદ ફરી આ પ્રોજેક્ટ ચર્ચામાં કેમ આવ્યો?
સરકાર એક તરફ કહી રહી છે કે, આમાં સરકારને કોઈ રસ નથી તો બીજી તરફ કોંગ્રેસ અને આદિવાસી સમાજ સરકાર સામે વિરોધ કરી રહી છે. ત્યારે ત્રણ વર્ષ પછી આ વિરોધ શરૂ કરવાનો પણ કારણ સામે આવ્યો છે. આ મુદ્દે અનંત પટેલે કહ્યું કે, ''મુખ્યમંત્રીએ સુરતમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રોજેક્ટર રદ કરવાની જાહેરાત કેમ કરવી પડી? 28મી જુલાઈ 2025ના રોજ રાજ્ય સભામાં પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ભારત દેશમાં કેટલી આવી પરિયોજના બની રહી છે? તેના જવાબમાં જળસંચય મંત્રાલયની ઓફિસમાંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટનો
ડીપીઆર તૈયાર થઈ ગયો છે''.
પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કેમ?
પાર તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે, જેના માટે તેને પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ કહેવાયા છે. જે હેઠળ કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ. જેમાં એક ડેમ નાસિકમાં બનશે, તો તેમાં 7 ગામના લોકોને અસર થશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે, જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે. ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ, ડાંગના વચિકાર કારણે 12 ગામ, ડાબદર ડેમમાં 18 ગામ જ્યારે કેળવણ ડેમમાં 23 ગામ જશે. આ પ્રોજેક્ટ બને તો અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને વિસ્થાપિત થવું પડે તેમ છે.
''તો ડીપીઆર મુકવાની શું જરૂર છે?''
ધારાસભ્યે કહ્યું કે, હાલમાં લોકસભામાં આ પ્રોજેક્ટનો DPR કેમ રજૂ કરવામાં આવ્યો? જો પ્રોજેક્ટ જ રદ કરવામાં આવ્યો છે તો ડીપીઆર મુકવાની શું જરૂર છે?






