Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાની સેના અને પોલીસ પર અનેક મોટા હુમલાઓ થયા છે,. જેમાં સુરક્ષા ચોકીઓ, હાઈવે અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણા સ્થળોએ, સશસ્ત્ર માણસોએ માત્ર સૈન્યના વાહનોને જ નિશાન બનાવ્યા નથી. પરંતુ હાઇવે પર પણ કબજો જમાવ્યો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા દળોની તૈયારીઓ પર પણ સવાલો ઉભા થયા છે.
કલાત શહેર નજીક પાકિસ્તાની સેનાના વાહનને વિસ્ફોટક ઉપકરણ (IED) વડે ઉડાવી દેવામાં આવ્યું હતું. આ હુમલામાં ઘણા સૈનિકોની જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે, જો કે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સિવાય ક્વેટામાં પોલીસના વાહન પર થયેલા IED હુમલામાં બે લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો, પરંતુ હજુ સુધી કોઈ સંગઠને આ ઘટનાઓની જવાબદારી લીધી નથી.
બલૂચિસ્તાનના કિશનગાની અને કચ્છી જિલ્લામાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. સશસ્ત્ર લોકોએ સિબી શહેર નજીક હાઇવે બ્લોક કરી દીધો હતો. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પંજગુરના બાલાગેટર વિસ્તારમાં CPEC હાઇવે ત્રણ કલાકથી વધુ સમય માટે બ્લોક કરવામાં આવ્યો હતો. આ સિવાય નોશ્કીમાં સેનાની ચોકીઓ પર રોકેટ છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
બસ ડ્રાઇવરોનું અપહરણ
મુસ્તાંગના ડેપ્યુટી કમિશ્નરના જણાવ્યા અનુસાર, હથિયાર સાથે આવેલા માણસો પંજાબના બે બસ ડ્રાઈવરોનું અપહરણ કરીને લઈ ગયા હતા. પોલીસ અને સુરક્ષા દળો તેમને શોધવામાં વ્યસ્ત છે. શોભિતપુરના ગુરનદી તાગિયામાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ડેરા બુગતીના કટ્ટન પુલ પર આર્મી પોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી.
ખુજદાર અને ખારાનમાં સ્થિતિ વણસી ગઈ
ખુજદારમાં 36 કલાકથી નેટવર્ક ન હોવાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબના સરદારગઢ વિસ્તારના અલી ચોકમાં પોલીસ પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. ખારાન શહેરમાં એક જોરદાર વિસ્ફોટના સમાચાર છે, જેમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર પણ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો,. પરંતુ પ્રશાસને હજુ સુધી આ હુમલાની સત્તાવાર વિગતો જાહેર કરી નથી.






