પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. હવે શુક્રવારે (14 માર્ચ) માહિતી આપી હતી કે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના આતંકવાદીઓએ બલુચિસ્તાનમાં એક ટ્રેન પર હુમલો કરીને 26 બંધકોને મારી નાખ્યા હતા. મૃતકોમાં 18 સૈનિકો અને 6 નાગરિકોનો સમાવેશ થાય છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
ચૌધરીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ મુસાફરો સવાર હતા. હુમલા બાદ મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. જવાબમાં, સુરક્ષા દળોએ એક ઓપરેશન શરૂ કર્યું જે બીજા દિવસની સાંજ સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન 33 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે 300થી વધુ મુસાફરોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 37 ઘાયલ મુસાફરો સહિત કુલ 354 બંધકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન ફ્રન્ટિયર કોર્પ્સના પાંચ જવાનો પણ માર્યા ગયા હતા.
ભારત પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો આરોપ
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ફરી એકવાર ભારત પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનો એક કથિત વીડિયો પણ બતાવ્યો હતો, જેમાં તેઓ ભારતની જાસૂસી એજન્સી રૉની સંડોવણીની કબૂલાત કરે છે. ભારતે પાકિસ્તાનને પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષ આપવાને બદલે પોતાની આંતરિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. સમગ્ર વિશ્વ જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે.





