પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલા થયો છે. જેમાં 13 સૈનિકો માર્યા ગયા છે જ્યારે 10 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લશ્કરી કાફલો ઉત્તરપશ્ચિમ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો. જે વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદની નજીક આવેલો છે અને લાંબા સમયથી આતંકવાદથી પ્રભાવિત પણ છે.
વિસ્ફોટકથી ભરેલા વાહને ટક્કર મારી હતી
વિગતો મુજબ આ આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલું વાહન કાફલા સાથે ટકરાવ્યું હતું, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. જે હુમલામાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અથવા તેની સાથે સંકળાયેલા કોઈ અન્ય સંગઠનનો હાથ હોઈ શકે છે. આ વિસ્તારમાં પહેલા પણ આવા ઘાતક હુમલાઓ થઈ ચુક્યા છે. સેના અને સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યારે ઘાયલોને નજીકની લશ્કરી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં પાકિસ્તાન બીજા ક્રમે
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025ના તાજેતરના આવેલા રિપોર્ટ મુજબ 2024માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓને કારણે મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. 2023માં આતંકવાદી હુમલાઓમાં 748 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2024માં આ સંખ્યા 1,081 પર પહોંચી ગઈ છે એટલે કે લગભગ 45%નો વધારો થયો છે.





