Pakistan Squad: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પોતાની ODI અને T20 ટીમની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સલમાન આગાને ટીમની કમાન સોંપવામાં આવી છે. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમને ટી-20માં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, વનડે ટીમની બાગડોર મોહમ્મદ રિઝવાનના હાથમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ ગયેલા શાહીન શાહ આફ્રિદીને વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે.
પાકિસ્તાનને મળ્યો નવો કેપ્ટન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શન બાદ ટીમને T-20 ફોર્મેટમાં નવો કેપ્ટન મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની સીરિઝ માટે મોહમ્મદ રિઝવાનના સ્થાને સલમાન આગાને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ શાદાબ ખાનને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રિઝવાન અને બાબરને ટી-20 ટીમમાં પણ જગ્યા આપવામાં આવી નથી. પાકિસ્તાને ટી-20 શ્રેણી માટે યુવા ખેલાડીઓ પર જુગાર રમ્યો છે. નસીમ શાહને પણ T-20 ટીમમાં તક આપવામાં આવી નથી. જ્યારે, હેરિસ રઉફને બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
વનડેમાં રિઝવાનની કેપ્ટનશીપ અકબંધ
જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમના શરમજનક પ્રદર્શન છતાં પસંદગીકારોએ ODI ફોર્મેટમાં કેપ્ટન તરીકે રિઝવાન પર તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. સલમાન આગાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. મોહમ્મદ વસીમ જુનિયર, મોહમ્મદ ઈરફાન ખાનને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સુફિયાન મુકીમ અને તૈયબ તાહિર પણ ODI ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. પીસીબીએ કહ્યું કે ઈજાના કારણે ફખર ઝમાન અને સેમ અયુબ પસંદગી માટે ઉપલબ્ધ નથી.
પાકિસ્તાનની ટીમ પ્રવાસની શરૂઆત પાંચ મેચની T20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે રમાશે જ્યારે બીજી મેચ 18 માર્ચે રમાશે. ત્રીજી મેચ 21 માર્ચે ઓકલેન્ડમાં અને ચોથી મેચ 23 માર્ચે રમાવાની છે. શ્રેણીની છેલ્લી મેચ 26 માર્ચે રમાશે. વનડે શ્રેણી 29 માર્ચથી શરૂ થશે જ્યારે છેલ્લી મેચ 5 એપ્રિલે રમાશે.





















