જમ્મુ- કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજ્યના વિવિધ પર્યટક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જે બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેમણે જમ્મુ કાશમીરની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
'અમને સંઘ પ્રદેશનો દરજ્જો આપવાની જરૂર નહોતી'
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે 'અમને સંઘ પ્રદેશનો દરજ્જો આપવાની જરૂર નહોતી, જે સમગ્ર દેશમાં માત્ર અમે જ કમનસીબ લોકો છીએ કે, અમને રાજ્યમાંથી હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાવવામાં આવ્યો છે, બાકી એવું હોય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવામાં આવે છે' વધુમાં કહ્યું કે, 'અમે એ જ આશાએ બેઠા છીએ કે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવવાનો વાયદો કરવામાં આવ્યો તે જલ્દીથી પૂર્ણ કરવામાં આવે'.
''કાશ્મીરમાં સુરક્ષાની જવાબદારી અમને આપવી જોઈએ''
ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, 'હું તો પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે કાશ્મીરમાં સુરક્ષાની જવાબદારી અમને આપવી જોઈએ. લોકોએ અમને ચૂંટણી જિતાડીને મોકલ્યા છે, બાકી બધી જવાબદારી અમને આપી છે તો સુરક્ષાની પણ જવાબદારી અમારી હોવી જોઈએ. અમારે કંઈ કરવું નથી એવું થોડુ છે, મેં અગાઉ પણ છ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે, તમે જોઈ શકો છો એ સમયે દરેક સ્તરની સુરક્ષાચૂકમાં ઘટાડો થયો. એ સમય દરમિયાન આતંકવાદી હુમલાઓમાં પણ ઘટાડો થયો હતો. અમને હજી ફરી એકવાર મોકો આપવામાં આવે, અમે ખૂબ સારું અને સુરક્ષિત કાશ્મીર બનાવી શકીશું''.






