આજે તારીખ છે 16મી ડિસેમ્બર. 16મી ડિસેમ્બરની તારીખ ખાસ છે. કારણ કે આજના દિવસે ભારતીય સેનાએ વર્ષ 1971માં પાકિસ્તાની સેનાના 90 હજાર સૈનિકોને સરેન્ડર કરાવ્યું હતું. જેની આઇકોનિક તસવીર સમગ્ર વિશ્વમાં ભારતની બેજોડ સૈન્ય શક્તિનો બોલતો પુરાવો છે. અને આ સરેન્ડરની ઐતિહાસિક તસવીરને લઇ ચર્ચા શરૂ થઇ છે. કારણ કે ભારતીય આર્મી ચીફની ઓફિસમાં લાગેલી પાકિસ્તાની સૈન્યના સરેન્ડની આ તસવીર હટાવાઇ છે. જેની જગ્યાએ ‘ફિલ્ડ ઓફ ડિડ્સ’ એટલે કે કર્મભૂમિ નામની પેઇન્ટિંગ લગાવવામાં આવી છે. જે તસવીરમાં લદ્દાખનું પેંગોગ લેક બતાવાયું છે. સાથે-સાથે આ પેઇન્ટિંગમાં ભારતની ત્રણેેય સેનાઓ અને તેમની રક્ષાત્મક તાકતનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આર્મી ચીફની ઓફિસમાંથી કેમ હટાવાઇ તસવીર?
સેના સાથે સંકડાયેલા સૂત્રોના જણવ્યા અનુસાર ભારતના આર્મી ચીફની ઓફિસમાંથી પાકિસ્તાનના સરેન્ડરની તસવીર હટાવવા પાછળ ભારતનો ભવિષ્યનો દ્રષ્ટિકોણ અને રણનીતિક કેન્દ્રમાંથી પાકિસ્તાનનું હટવું બતાવે છે. દાવો કરાઇ રહ્યો છે કે નવી તસવીર દ્વારા ભારત એક સંદેશ આપવા માગે છેકે ભારત માટે રણનીતિક કેન્દ્રમાં પાકિસ્તાન નહીં પણ ચીન છે. કર્મભૂમિ પેઇન્ટિંગ દ્વારા ભારત માટે આગામી સમયમાં રણનીતિક સ્પર્ધક પાકિસ્તાન નહીં પણ ચીન છે તેવું તસવીર દ્વારા સંદેશ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, આર્મી ચીફની આફિસમાં લગાવાયેલી નવી તસવીર આગામી સમયમાં એશિયામાં ઉભરી રહેલી ભારતની મજબૂત સ્થિતિનું પણ ચિત્રણ કરે છે.
નવી પેઇન્ટિંગ:ચાણક્ય VS સુન ત્ઝુ?
સેનાની બાબતો પર બારીકીથી નજર રાખનારા જાણકાર એવું પણ માને છેકે આર્મીચીફની ઓફિસમાં લગાયાલી કર્મભૂમિ નામની તસવીરમાં ચાણક્યની તસવીર પાછળ ખુબ જ મોટો સંદર્ભ અને સંદેશ છૂપાયેલો છે. ભારતે ચાણક્યની નીતિથી ચીનના સુન ત્ઝુની રણનીતિનો જવાબ આપ્યો છે. મહત્વનું છેકે ચીનના સુન ત્ઝુએ વિશ્વવિખ્યાત પુસ્તક ‘આર્ટ ઓફ વૉર’ એટલે કે યુદ્ધની કલા નામે પુસ્તક લખ્યું હતું. ચીનના સુન ત્ઝુના જવાબ રૂપે કર્મભૂમિ તસવીરમાં ચાણક્યને અંકિત કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
Aur Cheen toh jheel ke us par hai! https://t.co/HXJcqEyJ2i
— Lt Gen H S Panag(R) (@rwac48) December 14, 2024
પૂર્વ સૈન્ય અધિકારીઓ નારાજ:
ભારતીય આર્મી ચીફની ઓફિસમાં લગાવાયેલી કર્મભૂમિ નામની નવી તસવીરને કેટલાક લોકો બિરદાવી રહ્યા છે. જો કે ભારતીય સૈન્યના અનેક પૂર્વ અધિકારીઓ આ નિર્ણયને લઇ નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ લેફ્ટનન્ટ જનરલ એચ.એસ પનાગે સોશિયલ મીડિયા એક્સ પર તસવીર અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી. પૂર્વ અધિકારીઓનું માનવું છેકે ભારતની સૌથી મોટી સૈન્ય જીતની તસવીર હટાવવી એ નિરાશાજનક છે.






