AI Jobs Crisis: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે વિશ્વભરની મોટી ટેક કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં જે રીતે આડેધડ છટણી કરી છે, તે હવે એક મોટા વિવાદનો વિષય બન્યો છે. સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજ નેતાઓ, જેઓ ગઈકાલ સુધી AI દ્વારા નોકરીઓ છીનવાઈ જવાની ચેતવણી આપતા હતા, તેઓ હવે અચાનક પોતાના નિવેદનો બદલી રહ્યા છે. પરંતુ આ બદલાવ પાછળનું સત્ય એ છે કે, જે AI ને ઇન્સાનનો વિકલ્પ માનવામાં આવતો હતો, તેનું સંચાલન કરવું હવે કંપનીઓ માટે ખૂબ જ મોંઘું સાબિત થઈ રહ્યું છે.
વર્ષ 2024 અને 2025 દરમિયાન ટેક જગતમાં AI નો જે 'હાઈપ' ઊભો કરવામાં આવ્યો હતો, તેના કારણે ૨.૫ લાખથી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. કંપનીઓએ AI ની આડમાં કર્મચારીઓને છૂટા કર્યા, પરંતુ હવે જ્યારે વાસ્તવિકતા સામે આવી છે, ત્યારે આ ટેક કંપનીઓના સુર બદલાયા છે. લાખો લોકોના પરિવારોની આજીવિકા દાવ પર લાગી ગઈ, અને કંપનીઓને હવે સમજાયું છે કે, AI એ ઇન્સાનનો સંપૂર્ણ વિકલ્પ નથી.
AI ના નામે લાખોની છટણી: એક ડરામણો વાસ્તવ
મેટા, એમેઝોન, ગૂગલ અને સ્નેપ જેવી અનેક મોટી કંપનીઓએ AI ના નામ પર મોટા પાયે છટણી કરી છે. માત્ર 2025માં 1.25 લાખ અને 2026ના માત્ર પાંચ મહિનામાં 1.25લાખથી વધુ લોકો બેરોજગાર થયા છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે, AI થાક્યા વગર અને પગાર વધારાની માંગ કર્યા વગર કામ કરશે, જેનાથી કંપનીઓનો ખર્ચ ઘટશે. આ વાતોમાં આવીને પ્રમોટર્સે માનવીય સંવેદનાઓને બાજુ પર મૂકીને કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો.
શું છે આ 'યુ-ટર્ન' પાછળનું ગણિત?
હવે જ્યારે કંપનીઓ પોતાના IPO અને રોકાણકારોને ખુશ રાખવા માટે મથામણ કરી રહી છે, ત્યારે તેમને સમજાયું છે કે AI સિસ્ટમનો ખર્ચ અપેક્ષા કરતા ઘણો વધારે છે. સર્વર, વીજળી અને મોંઘા GPU નો ખર્ચ એક કુશળ કર્મચારીના પગાર કરતાં પણ વધી રહ્યો છે. ઓપન-એઆઈના CEO સેમ ઓલ્ટમેનનું નિવેદન કે "હું ખોટો સાબિત થવા બદલ ખુશ છું,"આ એ વાતનો પુરાવો છે કે,ટેક કંપનીઓનો અસલી ઈરાદો માત્ર નફો કમાવવાનો હતો, ભલે તેના માટે ગમે તેટલા લોકોને બેરોજગાર કરવા પડે.
આ પણ વાંચો: વૈશ્વિક બજારોમાં તેજીનાં સંકેતો: એશિયન માર્કેટમાં તેજીનો માહોલ
NVIDIA CEOએ CEOs પર જ ઉઠાવ્યા સવાલ
દુનિયાની સૌથી મોટી કંપની એનવીડિયાના CEO જેન્સન હુઆંગે છટણી કરનાર કંપનીઓને આડેહાથ લેતા કહ્યું છે કે, જે CEOs નોકરીઓ કાપવા માટે AI ને જવાબદાર ઠેરવે છે, તેઓ વાસ્તવમાં 'આળસુ' છે. તેમણે સ્પષ્ટ કર્યું કે AI નોકરીઓ ખાવા માટે નહીં, પણ નવા અવસરો પેદા કરવા માટે છે. હુઆંગના મતે, જે ટેકનોલોજી હજુ બાળ અવસ્થામાં છે, તેના નામ પર બે વર્ષ પહેલાં જ છટણી શરૂ કરી દેવી એ તર્કહીન અને બિનજવાબદાર કૃત્ય છે.
ઇન્સાનનો વિકલ્પ મશીન ક્યારેય ન બની શકે
AI ની મર્યાદાઓ પણ હવે સ્પષ્ટ થવા લાગી છે. તે ઘણીવાર 'હેલ્યુસિનેશન' (ખોટું ડેટા આપવું) નો શિકાર બને છે, જેના કારણે કાયદાકીય કે નાણાકીય કામોમાં તેના પર આંધળો વિશ્વાસ મૂકી શકાતો નથી. અંતે તો મશીન દ્વારા થયેલા કામને રી-ચેક કરવા માટે અનુભવી ઇન્સાનની જરૂર પડે જ છે. આ સમગ્ર ઘટનાક્રમ એક કડવું સત્ય સ્થાપિત કરે છે. ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પરંતુ દુનિયા 'ઇન્સાની દિમાગ અને સંવેદના' વિના ચાલી શકે નહીં. જે કંપનીઓએ નફા માટે માનવીય સંસાધનોની આહુતિ આપી, તેમને હવે સમજાયું છે કે લાંબાગાળાના વિકાસ માટે ઇન્સાનની હાજરી અનિવાર્ય છે.





