અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે. સ્કૂલમાં એક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર માર્યો હતો અને તેના શર્ટ પર બ્લેડ મારીને બટન તોડી નાખ્યા હતા. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો હતો.
'દિવસે વિરોધ કરીશું અને રાત્રે તાળા મારીશું'
NSUIએ આ સમગ્ર મામલાને લઈને સરકાર અને સ્કૂલના જવાબદાર અધિકારીઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. NSUIના નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે “દિવસે વિરોધ કરીશું અને રાત્રે તાળા મારીશું” પોતાના નિવેદન મુજબ, જો સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. NSUIનું કહેવું છે કે આ ઘટના બાદ પણ સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે ગંભીર બાબત છે. સરકાર હસ્તક વહીવટ હોવા છતાં સ્કૂલમાં ફરીથી મારામારીની ઘટના બનવી એ વહીવટની નિષ્ફળતા હોવાનું NSUIએ જણાવ્યું છે.
NSUIએ સેવન્થ ડે સ્કૂલના તમામ ગેટ પર તાળા મારી દીધા
વિરોધના ભાગરૂપે NSUIના નેતાઓએ મોડી રાતે સ્કૂલ પહોંચીને સેવન્થ ડે સ્કૂલના તમામ ગેટ પર તાળા મારી દીધા હતા. NSUIના નેતા ચિરાગ દરજી અને વેદાંત તોમર જાતે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને સ્કૂલમાં તાળાબંધી કરી હતી. આ ઘટનાથી સ્કૂલનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. NSUIએ સ્પષ્ટ માંગ કરી છે કે વિદ્યાર્થી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારીને સ્કૂલના પ્રિન્સિપાલ તથા સંબંધિત જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, નહિંતર આવનારા દિવસોમાં વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે.





















