Stock Market News: ભારતીય શેરબજારમાં ગુરુવારે ભલે મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી દબાણ હેઠળ જોવા મળ્યા હોય, પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના સંભવિત IPOને લઈને આવેલા મોટા અપડેટે કેટલાક શેરોમાં તોફાની તેજી લાવી દીધી છે. NSEના અંદાજિત રૂ.30,000 કરોડના IPO અંગેના અહેવાલો બાદ LIC, New India Assurance, GIC અને SBI જેવી કંપનીઓના શેરોમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી હતી. બજાર નિષ્ણાતોના મતે, NSEનો IPO ભારતીય મૂડીબજારના ઇતિહાસનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ બની શકે છે. આ સમાચાર સામે આવતા જ NSEમાં હિસ્સેદારી ધરાવતી કંપનીઓના શેરોમાં તેજીનું મોજું ફરી વળ્યું હતું. કેટલાક શેરોમાં તો એક જ દિવસમાં ડબલ ડિજિટ ઉછાળો જોવા મળ્યો હતો.
LIC અને Paytmના IPOને પણ પાછળ છોડી શકે NSE
બજાર નિયામક SEBI સમક્ષ દાખલ કરાયેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ NSEનો IPO અંદાજે રૂ.30,000 કરોડનો હોઈ શકે છે. જો આ ઇશ્યૂ આ કદમાં આવે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનશે. અત્યાર સુધી દેશનો સૌથી મોટો IPO LICનો રહ્યો છે, જેનો કદ લગભગ રૂ.21,000 કરોડ હતો. જ્યારે Paytmનો IPO આશરે રૂ.18,300 કરોડનો હતો. NSEનો પ્રસ્તાવિત ઇશ્યૂ આ બંનેને પાછળ છોડી શકે છે.
IPO અપડેટ બાદ કયા શેરોમાં આવી તેજી?
NSE IPO સંબંધિત અપડેટ સામે આવ્યા બાદ NSEમાં હિસ્સેદારી ધરાવતી કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. New India Assuranceના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. કંપનીનો શેર શરૂઆતના કારોબારમાં 14 ટકાથી વધુ ઉછળી રૂ.188.50 સુધી પહોંચી ગયો હતો. તે ઉપરાંત GICના શેરમાં પણ વધારો નોંધાયો હતો અને શેર રૂ.362ની સપાટી સુધી પહોંચ્યો હતો. દેશની સૌથી મોટી વીમા કંપની LICના શેરમાં પણ લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. SBIના શેરમાં પણ 2 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો અને શેર રૂ.1,045ની આસપાસ પહોંચ્યો હતો.
NSEમાં કોની કેટલી હિસ્સેદારી?
NSEમાં અનેક જાણીતા રોકાણકારો અને સંસ્થાઓની હિસ્સેદારી છે. રાકેશ ઝુનઝુનવાલા પછીના સૌથી સફળ રોકાણકારોમાં ગણાતા રાધાકિશન દમાણી પાસે NSEમાં આશરે 1.56 ટકા હિસ્સો હોવાનું માનવામાં આવે છે. તે ઉપરાંત જાણીતા રોકાણકાર ડોલી ખન્ના તેમજ મોતીલાલ ઓસવાલ અને રામદેવ અગ્રવાલ જેવા રોકાણકારો પણ NSEમાં હિસ્સેદારી ધરાવે છે. સંસ્થાકીય રોકાણકારોમાં LIC સૌથી મોટો શેરહોલ્ડર છે. કંપની પાસે NSEના લગભગ 10.72 ટકા શેર હોવાનું જણાવવામાં આવે છે.
આ પણ વાંચો: 8મા પગાર પંચ પહેલાં કર્મચારીઓ માટે ખુશખબર : ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ
IPOમાં મોટા શેરધારકો શેર વેચશે
NSE IPO હેઠળ અનેક મોટા શેરધારકો પોતાના શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલો અનુસાર SBI લગભગ 2.47 કરોડ શેર વેચી શકે છે. બેંક ઓફ બરોડા, GIC Re અને New India Assurance જેવી સંસ્થાઓ પણ પોતાના કેટલાક શેરો વેચવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ IPOમાં ભાગ લઈ શકે છે.
રોકાણકારો માટે કેમ મહત્વનો છે NSE IPO?
NSE માત્ર ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ જ નહીં પરંતુ વિશ્વના સૌથી વ્યસ્ત ડેરિવેટિવ્સ એક્સચેન્જોમાંનું એક ગણાય છે. તેથી તેનો IPO બજાર માટે ઐતિહાસિક ઘટના બની શકે છે. વિશ્લેષકોના મતે, NSEના લિસ્ટિંગથી ભારતીય મૂડીબજારને વધુ ઊંડાણ મળશે અને રોકાણકારોને દેશના સૌથી મહત્વપૂર્ણ નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાં રોકાણ કરવાની તક મળશે. હાલમાં IPOની પ્રક્રિયા અને નિયમનકારી મંજૂરીઓ પર બજારની નજર છે, પરંતુ માત્ર ચર્ચાએ જ સંબંધિત શેરોમાં જોરદાર તેજી સર્જી દીધી છે.





