ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજદરમાં ઘટાડો કરતી બેંકોની સંખ્યા સતત વધી રહી છે. હવે આ યાદીમાં ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક (Ujjivan Small Finance Bank)નું નામ પણ જોડાઈ ગયું છે. બેંકે રૂ. 3 કરોડથી ઓછીની પસંદગીની મુદતની એફડી પરના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ્સ (BPs) સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે બેંકે તેના બચત ખાતાના વ્યાજ દરોમાં પણ સુધારો કર્યો છે. સંશોધિત વ્યાજ દરો 24 એપ્રિલ, 2025 થી અમલી બન્યા છે.
આ બેંકોએ 2 વખત ચલાવી કાતર
SBI, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB), શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક, યસ બેંક સહિતની ઘણી બેંકોએ એપ્રિલ 2025માં તેમના ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં ઘટાડો કર્યો છે. અહેવાલ મુજબ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને યસ બેંક જેવી કેટલીક બેંકોએ 9 એપ્રિલે RBI MPCની બેઠક બાદ તેમના થાપણ દરમાં બે વાર ઘટાડો કર્યો છે, એટલે કે આ બેંકોના ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેંકો લોન સસ્તી કરી રહી છે અને ડિપોઝિટ પરના વ્યાજમાં ઘટાડો કરી રહી છે.
આ છે રિવાઈઝ્ડ FD રેટ્સ
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય ગ્રાહકોને 18 મહિનાની મુદતવાળી FD માટે 8.05%નો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે, જે અગાઉ 8.25% હતો. જ્યારે, વરિષ્ઠ નાગરિકોને તે જ સમયગાળાની FD પર વાર્ષિક 8.55% ના દરે વ્યાજ આપવામાં આવે છે. અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 8.75% હતો. તેવી જ રીતે 12 મહિનાથી વધુ પરંતુ 18 મહિનાથી ઓછા સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પરનો વ્યાજ દર હવે 8.10% થી ઘટીને 7.90% થઈ ગયો છે. 18 મહિના 1 દિવસથી 990 દિવસ સુધીની FD પર વ્યાજ દર 7.75% છે.
બચત ખાતા પર વ્યાજ
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે 24 એપ્રિલથી તેના બચત ખાતાના વ્યાજ દરો અને બેલેન્સ સ્લેબમાં પણ સુધારો કર્યો છે. બચત ખાતા પરનો વ્યાજ દર તમારા ખાતામાં કેટલું બેલેન્સ છે તેના પર નિર્ભર છે. જો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ છે, તો બેંક તમને વાર્ષિક 3%ના દરે વ્યાજ આપશે.
જો બેલેન્સ રૂ. 1 લાખથી વધુ પરંતુ રૂ. 5 લાખથી ઓછી હોય, તો વ્યાજ દર વધીને વાર્ષિક 5.00% થશે. તેવી જ રીતે, 5 લાખ અને 10 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 6.25% વ્યાજ આપવામાં આવે છે. રૂ. 10 લાખથી રૂ. 50 લાખની વચ્ચેના બેલેન્સ પર 7.25 ટકા અને રૂ. 50 લાખથી વધુના બેલેન્સ પર 7.50 ટકા વ્યાજ દર છે.





















