ઉત્તરપ્રદેશના સંભલમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન, જ્યારે મહેસૂલ વિભાગે શનિવારે ચંદૌસીમાં એક જમીનનું ખોદકામ કર્યું, ત્યારે તેની નીચે એક વિશાળ વાવ મળી આવી છે. વાસ્તવમાં ચંદૌસીનો લક્ષ્મણ ગંજ વિસ્તાર 1857 પહેલા હિંદુ પ્રભુત્વ ધરાવતો હતો. અહીં સૈની સમાજના લોકો રહેતા હતા. પરંતુ હવે અહીં મુસ્લિમોની વસ્તી મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળ્યા બાદ DMને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પહેલા લક્ષ્મણ ગંજમાં બિલારીની રાણીની વાવ હતી.
જે બાદ DMએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જેને લઈને શનિવારે મહેસૂલ વિભાગના નાયબ અધિકારી ધીરેન્દ્ર સિંહ વિસ્તારનો નકશો લઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યારે બાબડી વસાહતની વચોવચ એક વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીનની નીચેથી પ્રાચીન ઈમારતો બહાર આવવા લાગી.
આ મામલે નાયબ મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતુ કે, ખોદકામ દરમિયાન બે માળની ઈમારત દેખાઈ રહી છે. આ વાવ અને તળાવ પણ રેકોર્ડમાં નોંધાયેલ છે. ખોદકામ દરમિયાન અહીં એક ટનલ પણ નીકળી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, આ વાવના પગથિયા એકદમ વિશાળ લાગે છે, જે માટીના ઢગલામાં દટાયેલા હતા. હવે આ જગ્યા પરથી માટી કાઢીને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે નકશાના આધારે આગળની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ સંભલમાં ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ની ટીમ શનિવારે કલ્કી મંદિર પહોંચી હતી. સંભલમાં, ASIની ટીમે પાંચ અલગ-અલગ સ્થળોનો સર્વે કર્યો હતો, જેમાં 19 કૂવા અને 5 યાત્રાધામોનો સમાવેશ થાય છે. ASIની ટીમે સંભલના કલ્કી મંદિરમાં આવેલા પ્રાચીન કૃષ્ણ કુવાનો પણ સર્વે કર્યો હતો.
મહત્વનું છે કે, આ મામલે મંદિરના પૂજારી સાથે મંદિરની અંદર પણ સર્વે કરવામાં આવ્યો હતો. ટીમે મંદિરની અંદર બનેલા ગુંબજનો ફોટો પણ કેપ્ચર કર્યો હતો. જો કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈને સર્વે ગુપ્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. આ પહેલા શુક્રવારે ASIની ટીમ સંભલના લાડમ સરાઈ સ્થિત મંદિરની પ્રાચીન ઈમારતમાંથી કાઢવામાં આવેલા પત્થરોનું સર્વે કરતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું.

_dcacc378-eccb-4231-8b1f-c9bf705e5fd7.jpg)




