Team India: ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. આ પ્રવાસમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. જે 2-2 થી ડ્રો રહી હતી. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતરી હતી, કારણ કે આ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા હવે થોડા દિવસો માટે બ્રેક પર રહેવા જઈ રહી છે, જોકે ચાહકો જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે ટીમ ઈન્ડિયાનો આગામી આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમાશે અને તેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે?
આ દિવસે મેદાન પર જોવા મળશે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા હવે એશિયા કપ 2025માં રમતી જોવા મળશે. આ વખતે એશિયા કપ UAEમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે થશે. ટીમ ઈન્ડિયા UAE સાથે તેનો આગામી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે.
કોણ હશે કેપ્ટન?
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં યોજાવાનો છે, તેથી શુભમન ગિલ નહીં, પરંતુ સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરતા જોવા મળશે.
રિપોર્ટ મુજબ આગામી 2 અઠવાડિયા સુધીમાં સૂર્યકુમાર યાદવ સંપૂર્ણપણે ફિટ થઈ જશે. ઇંગ્લેન્ડ પછી શુભમન ગિલ ફરી એકવાર UAEમાં ધમાલ મચાવતો જોવા મળશે. ગિલે ઇંગ્લેન્ડ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.






