RBI : આજના ડિજિટલ યુગમાં બેંક એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે, પરંતુ સામાન્ય માણસ માટે બેંકના છુપાયેલા ચાર્જ માથાનો દુખાવો બની ગયા છે. ઘણીવાર ખાતામાં 'મિનિમમ બેલેન્સ' ન જળવાવાને કારણે બેંકો પેનલ્ટી વસૂલે છે, જેના કારણે ગ્રાહકના પૈસા કપાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે RBI (ભારતીય રિઝર્વ બેંક) એ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBDA) એકાઉન્ટની સુવિધા આપી છે. આ ખાતામાં તમારે એક પણ રૂપિયો રાખવાની જરૂર નથી અને કોઈ પેનલ્ટી પણ લાગશે નહીં.
શું છે BSBDA ખાતું?
બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) એ એક પ્રકારનું 'નો-ફ્રિલ્સ' એટલે કે ઝીરો બેલેન્સ ખાતું છે. તે ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેઓ દર મહિને બેંકમાં ચોક્કસ રકમ જાળવી શકતા નથી. અગાઉ આ સુવિધા જન ધન યોજના પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે તેને સામાન્ય બેંકિંગ સેવા તરીકે દરેક માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોણ ખોલાવી શકે આ ખાતું?
ભારતનો કોઈપણ નાગરિક આ ઝીરો બેલેન્સ ખાતું ખોલાવી શકે છે. સામાન્ય રીતે 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ આ એકાઉન્ટ માટે પાત્ર છે. જોકે, સગીર બાળકો માટે તેમના વાલીઓની દેખરેખ હેઠળ પણ આ ખાતું ખોલી શકાય છે. આ માટે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સામાન્ય KYC દસ્તાવેજોની જરૂર પડે છે.
મળતી મફત સુવિધાઓ
1 એપ્રિલ 2026 થી અમલી બનનારા નવા નિયમો મુજબ, આ ખાતામાં ગ્રાહકોને અનેક ફાયદા મળશે:
કોઈ મિનિમમ બેલેન્સ નહીં : ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ ચાલશે.
મફત એટીએમ કાર્ડ : બેંક તમને ફ્રી ડેબિટ કાર્ડ આપશે અને તેનો કોઈ વાર્ષિક ચાર્જ લેવામાં આવશે નહીં.
રોકડ ઉપાડ : મહિનામાં 4 વખત એટીએમ અથવા બ્રાન્ચમાંથી મફત ઉપાડ કરી શકાશે.
અન્ય સુવિધાઓ : ઈન્ટરનેટ બેંકિંગ, પાસબુક અને વર્ષમાં 25 પાનાની ચેકબુક પણ બિલકુલ મફત મળશે.
UPI અને ડિજિટલ પેમેન્ટ
શું આ ખાતામાં Google Pay કે PhonePe ચાલશે? જવાબ છે- હા! BSBDA ખાતાધારકો UPI નો ઉપયોગ કરી શકે છે. ઓનલાઈન શોપિંગ કે QR કોડ સ્કેન કરીને કરવામાં આવતા પેમેન્ટ સંપૂર્ણપણે મફત અને અનલિમિટેડ રહેશે. રોકડ ઉપાડની મર્યાદા છે, પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કોઈ મર્યાદા નથી.
ખાતું ખોલવાની રીત અને દસ્તાવેજો
તમે કોઈપણ સરકારી કે ખાનગી બેંકમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. તમારે માત્ર બેંકમાં જઈને BSBDA ખાતા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. જો તમારી પાસે પહેલેથી જ કોઈ સેવિંગ્સ એકાઉન્ટ છે અને તમે તેને ઝીરો બેલેન્સમાં બદલવા માંગો છો, તો નવું ખાતું ખોલ્યાના 30 દિવસમાં જૂનું ખાતું બંધ કરવું પડશે અથવા તેને રૂપાંતરિત કરવાની વિનંતી આપવી પડશે.




















