ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે છ દિવસ થઈ ગયા છે, છતાં પણ નરસિંહપુરાના 22 વર્ષીય યુવાન વિક્રમસિંહ પઢિયારનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પરિવાર રોજિંદા આશા સાથે મહીસાગર નદી કાંઠે પહોંચી રહ્યો છે. પરંતુ દરરોજ આશા થકી નિરાશા મળતી રહી છે. આજે આખરે તંત્રની નિષ્ફળતા સામે પરિવારે પોતાનું દુઃખ વ્યક્ત કરતી વધુ એક વિધિ કરી દુર્ઘટનામાં લાપતા દીકરાનું પૂતળું બનાવી નદી કાંઠે જ વિધાનસર અગ્નિદાહ આપી દીધો.
વિક્રમસિંહના ગુમ થયા બાદ પત્નીએ છ દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી આખો પરિવાર વિક્રમસિંહના શવ મળવા માટે આંખો મા આશાનું દીપક લઇ રોજ નદી કિનારે બેસતો રહ્યો. આજે તેમની ધીરજ તૂટી અને વ્યથા પોતાના વ્હાલસોયા પુત્રને વિધિવત અંતિમ સંસ્કાર આપી વ્યક્ત કરી.
વિક્રમસિંહને હજુ ગુમ જણાતા હોવા છતાં તેમને “મૃત” જાહેર કરી સરકાર તરફથી સહાય રકમ પણ ચૂકવી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ વડુ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવાની ફરિયાદ હજુ ચાલુ જ છે. તંત્રની એવી અસંવેદનશીલ કામગીરીથી પરિવાર વધુ પીડામાં મુકાયો છે. ઘરની ભીતરે તો વેદનાનો દરિયો વહેતો જોવા મળ્યો હતો. ખાસ કરીને વિક્રમસિંહના દાદાની આંખોમાં વ્હાલા પૌત્રના ન મળેલા દેહ માટે તરસ અને દુઃખ ઝીલાતું હતું. તેમ છતાં પરિવારને હજી એક આશાની કિરણ છે કે, તેમના દીકરાનું મૃતદેહ જલ્દી મળે અને ચાણોદ ખાતે વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરી શકાય.
આમ તંત્રની તાત્કાલિક શોધખોળ વ્યવસ્થા અને રેસ્ક્યુ સિસ્ટમની ભયાનક અસફળતા આજે એક પરિવાર માટે જીવતું દુઃખ બની ઊભી રહી છે. એક યુવક ગુમ થયો છે, સરકાર તેને મૃત ગણાવી ચૂક્યું છે, પરંતુ પરિવાર હજુ કાંઠે વાટ જોતો છે. આ છે વિકસિત ગુજરાતની વાસ્તવિકતા જ્યાં ઇન્સાન ગુમાય થાય છે અને તંત્ર ફક્ત કાર્યવાહી દર્શાવે છે.





















