નવા વર્ષ 2026ની ઉજવણીની ખુશીઓ વચ્ચે નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાં એક દુખદ ઘટના બની છે. નવા વર્ષના પ્રારંભના થોડા કલાકોમાં જ શહેરની પ્રખ્યાત અને ઐતિહાસિક વોન્ડેલકર્ક (Vondelkerk) નામની ચર્ચમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં ચર્ચનો ટાવર પૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો. જેથી આગની ઘટનાએ નવા વર્ષની ઉજવણીને શોકમાં બદલી દીધી છે, જ્યારે અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાં ધુમાડાને કારણે એલર્ટ જારી કર્યું અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી હતી.
આગ ક્યારે અને કેવી રીતે ફાટી નીકળી?
આગની ઘટના 1 જાન્યુઆરી, 2026ની વહેલી સવારે લગભગ 12:45 વાગ્યે બની, જ્યારે નવા વર્ષની ઉજવણી હજુ ચાલુ હતી. પ્રથમ અહેવાલો મુજબ, આગ ચર્ચના ટોચના ભાગથી શરૂ થઈ અને ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. લાકડાની બનેલી આ જૂની ઇમારતમાં આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે ટાવર પૂર્ણપણે ધરાશાયી થઈ ગયો અને તે ચર્ચની મધ્યમાં પડ્યો, જેનાથી વધુ નુકસાન થયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આગની લપેટોમાં આવેલી ઇમારતના દૃશ્યો જોવા મળ્યા, જેમાં ધુમાડો અને ચિનગારીઓનો વરસાદ થતો દેખાયો હતો.
બચાવ કાર્ય અને અધિકારીઓનું નિવેદન
માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, "આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે અને અમે બાકીના ભાગને બચાવવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. આ જૂની લાકડાની ઇમારત છે, જે ખૂબ જ સરળતાથી આગ પકડી લે છે." આસપાસના રહેવાસીઓને ધુમાડાથી બચવા માટે ઘરના દરવાજા-બારીઓ બંધ રાખવા અને વેન્ટિલેશન સિસ્ટમ બંધ કરવાની સલાહ આપવામાં આવી. એમ્સ્ટર્ડમના મેયર ફેમ્કે હાલ્સેમાએ આ ઘટનાને "ખૂબ જ તીવ્ર અને દુખદ" ગણાવી છે.
ચર્ચનું ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સ્થિતિ
વોન્ડેલકર્કનું નિર્માણ 1872માં થયું હતું અને તે રોમન કેથોલિક ચર્ચ તરીકે 1977 સુધી વપરાતું હતું. ત્યારબાદ તેને ઓફિસ, ઇવેન્ટ્સ અને વ્યવસાયિક જગ્યા તરીકે વાપરવામાં આવતું હતું. આ ઇમારત પ્રખ્યાત આર્કિટેક્ટ પી.જે.એચ. કુયપર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જેમણે એમ્સ્ટર્ડમના રિજ્ક્સમ્યુઝિયમ પણ ડિઝાઇન કર્યું છે. આ આગના કારણે ચર્ચને અપૂર્ણીય નુકસાન થયું છે અને તેનું પુનર્નિર્માણ મુશ્કેલ બની શકે છે.
મહત્વનું છે કે, આ ઘટનાનું કારણ હજુ તપાસ હેઠળ છે, પરંતુ નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડાના ઉપયોગને તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. નેધરલેન્ડ્સમાં આ વર્ષે ફટાકડા પર પ્રતિબંધ લાગુ થવાનો છે, જે આ ઘટનાને વધુ મહત્વ આપે છે. આ દુખદ ઘટનાએ વિશ્વભરમાં ચર્ચા શરૂ કરી દીધી છે.





















