કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરદાતાઓ માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી 01 એપ્રિલ 2026થી 'નવો ઇન્કમ ટેક્સ એક્ટ' અમલી બનશે. આ નવા કાયદાના આગમન સાથે કરચોરી કે ભૂલભરેલી માહિતીના કિસ્સામાં કડક સજાના બદલે ટેક્સ ભરીને રાહત મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને જે કંપનીઓ ભારતમાં Data Center સ્થાપશે તેમને વિશેષ કરમુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ મુકાયો છે.
સરળ અને સ્પષ્ટ ટેક્સ પ્રક્રિયા
છ દાયકા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું સ્થાન લેનારા આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. નવા કાયદામાં ભાષાને અત્યંત સાદી રાખવામાં આવી છે જેથી સામાન્ય કરદાતા પણ તેને સમજી શકે. મહત્વની વાત એ છે કે, નવા કાયદા હેઠળ Income Tax Form એટલે કે ITR ફોર્મને વધુ સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત, અદાલતો પાસે હવે સજાને દંડમાં ફેરવવાની સત્તા પણ હશે, જે વેપારીઓ અને કરદાતાઓ માટે મોટી રાહત સાબિત થશે.
કાયદાનું કદ ઘટ્યું, સ્પષ્ટતા વધી
નવો આયકર કાયદો 2025 ટેક્સના દરમાં કોઈ મોટો ફેરફાર કરતો નથી, પરંતુ વહીવટી પ્રક્રિયામાં ધરખમ સુધારા લાવે છે. 1961ના જૂના કાયદામાં કલમોની સંખ્યા 819 હતી, જે હવે ઘટાડીને માત્ર 536 કરી દેવામાં આવી છે. તેવી જ રીતે પ્રકરણોની સંખ્યા પણ 47થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ ફેરફારના કારણે કાયદામાં વપરાતા શબ્દોની સંખ્યા 5.12 લાખથી ઘટીને માત્ર 2.6 લાખ થઈ ગઈ છે. ટેક્સની ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે 39 નવી ટેબલ્સ અને 40 નવા ફોર્મ્યુલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમલીકરણ અને રાહત
CBDTના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી સુધીમાં નવા નિયમો અને ફોર્મ્સ વિશે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નવા કાયદા હેઠળ લાગુ પડતા ટેક્સના દર ઉપરાંત વધારાના 10%ની છૂટ આપવાની જોગવાઈ પણ વિચારણા હેઠળ છે. આ સુધારો નાણાકીય વર્ષ 2026-27થી સંપૂર્ણપણે પ્રભાવી થશે, જેનાથી કર અનુપાલન એટલે કે ટેક્સ કોમ્પ્લાયન્સ વધુ સરળ બનશે.



















