નેપાળમાં રાજકીય પરિવર્તનની આશા સાથે સત્તા પર આવેલા સૌથી યુવા વડાપ્રધાન બાલેન શાહ હવે પોતાની સરકારના શરૂઆતના 100 દિવસમાં જ ગંભીર જનઆક્રોશનો સામનો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને જૂની રાજકીય વ્યવસ્થાથી કંટાળેલા Gen-Z યુવાનો જ જેમણે બાલેન શાહને પરિવર્તનનું પ્રતીક બનાવી સત્તા સુધી પહોંચાડ્યા હતા, તેઓ હવે કાઠમંડૂની સડકો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બળજબરીથી વસાહતો હટાવવાની કાર્યવાહી, પોલીસની કડક કામગીરી અને એક યુવાન રાઇડ-શેર ડ્રાઇવરના આત્મવિલોપન બાદ સમગ્ર મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
100 દિવસમાં જ બાલેન શાહ સરકાર સામે વધી અસંતોષની લહેર
રૅપરથી એન્જિનિયર અને ત્યારબાદ રાજકારણી બનેલા બાલેન શાહને નેપાળમાં નવી રાજકીય આશાનું પ્રતિક માનવામાં આવતું હતું. વર્ષ 2025માં Gen-Zના નેતૃત્વમાં થયેલા વ્યાપક જનઆંદોલન બાદ સત્તા પરિવર્તન થયું હતું અને ત્યારબાદ બાલેન શાહ દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. યુવાનોને આશા હતી કે તેઓ ભ્રષ્ટાચાર, રાજકીય પરિવારવાદ અને વર્ષોથી ચાલતી જૂની રાજકીય સંસ્કૃતિનો અંત લાવશે. જોકે સત્તા સંભાળ્યાના માત્ર 100 દિવસમાં જ તેમની સરકાર સામે અસંતોષ વધવા લાગ્યો છે અને કાઠમંડૂમાં ફરી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
ગણેશ નેપાળીની ઘટનાએ ભડકાવ્યો ગુસ્સો
તાજેતરમાં કાઠમંડૂના ત્રિપુરેશ્વર સ્થિત પાસપોર્ટ વિભાગની બહાર મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. તેઓ કોઈ સરકારી પ્રક્રિયા માટે નહીં પરંતુ 25 વર્ષીય રાઇડ-શેર ડ્રાઇવર ગણેશ નેપાળીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. માહિતી અનુસાર, ટ્રાફિક અને મ્યુનિસિપલ પોલીસ સાથે દંડને લઈને થયેલા વિવાદ બાદ ગણેશ નેપાળીએ સરકારી કચેરીની બહાર આત્મવિલોપન કર્યું હતું. સારવાર દરમિયાન તેમનું મોત થતાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો.
આ ઘટના માત્ર એક વ્યક્તિના મૃત્યુ સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ તે સરકારની નીતિઓ, પોલીસની કાર્યવાહી અને સામાન્ય નાગરિકો પ્રત્યેના વલણ વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધનું કારણ બની ગઈ. સોશિયલ મીડિયા પર પણ યુવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો અને સરકાર સામે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી.
ગેરકાયદે વસાહતો હટાવવાની કાર્યવાહી પણ બની વિવાદનું કારણ
બાલેન શાહ કાઠમંડૂના મેયર તરીકે કાર્યરત હતા ત્યારથી જ નદીઓના કિનારે આવેલી ગેરકાયદે વસાહતો દૂર કરવાની કાર્યવાહી ચલાવતા હતા. વડાપ્રધાન બન્યા બાદ આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં આવ્યું. એપ્રિલ 2026થી કાઠમંડૂ ખીણ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે વસાહતો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર આ અભિયાનથી અંદાજે 2,600થી વધુ પરિવારો અને લગભગ 15,000 લોકો પ્રભાવિત થયા હતા. સરકારે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે એક હજાર દિવસમાં જમીન ફાળવવાની યોજના જાહેર કરી હતી. જોકે માનવાધિકાર કાર્યકરો, વકીલો અને Gen-Zના કાર્યકરોનો આરોપ હતો કે ઘણા પરિવારોને તેમની જમીનવિહોણી સ્થિતિની યોગ્ય ચકાસણી કર્યા વગર જ સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવ્યા હતા.
આ મુદ્દો નેપાળના સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. બીજી તરફ, અસ્થાયી પુનર્વસન કેન્દ્રોમાં મોકલાયેલા પરિવારોને 6 જુલાઈ સુધી સ્થળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ઘણા પરિવારો પાસે રહેવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે સ્થળ છોડવાનો ઇનકાર કર્યો હતો.
પૂર અને પોલીસ કાર્યવાહીથી વધુ વધી સ્થિતિ ગંભીર
વિવાદ વચ્ચે માનસૂન દરમિયાન કીર્તિપુર વિસ્તારમાં આવેલા એક અસ્થાયી પુનર્વસન કેન્દ્રમાં પૂર આવતા લગભગ 150 જેટલા વિસ્થાપિત લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવું પડ્યું હતું. આ ઘટનાની સ્થિતિ જાણવા પહોંચેલા યુવા કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના તેમજ અનેક લોકોની અટકાયત કરવાના આરોપો પણ સામે આવ્યા હતા.
વિપક્ષી નેતાઓએ પણ પોલીસની કાર્યવાહીની ટીકા કરી હતી. નેપાળી કોંગ્રેસના નેતા ગગન થાપાએ સરકારના વલણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને વિસ્થાપિત પરિવારો સાથે માનવીય અભિગમ અપનાવવાની માંગ કરી હતી.
હવે બાલેન શાહ સામે જ ગુંજી રહ્યા છે એ જ નારા
જે યુવાનો એક સમયે "નવું નેપાળ" બનાવવાના નારા સાથે બાલેન શાહના સમર્થનમાં ઉભા રહ્યા હતા, આજે એ જ યુવાનો તેમની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. અનેક સ્થળોએ બાલેન શાહના રાજીનામાની માંગ પણ ઉઠી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ક્રાંતિ દરમિયાન ઊભી થયેલી ઊંચી અપેક્ષાઓને ટૂંકા સમયમાં પૂર્ણ કરવી કોઈપણ સરકાર માટે મુશ્કેલ હોય છે, પરંતુ જનતાની અપેક્ષાઓ હવે સીધી સરકારની જવાબદારીમાં બદલાઈ ગઈ છે.






