મિડલ ઈસ્ટમાં ફરી એકવાર વધેલા ભૂરાજકીય તણાવની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ તથા પશ્ચિમ એશિયાના સંવેદનશીલ સુરક્ષા માહોલને ધ્યાનમાં રાખીને એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA India) એ કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. એસોસિએશને ખાસ કરીને મિડલ ઈસ્ટના કેટલાક દેશો માટે સંચાલિત ભારતીય વ્યાવસાયિક ઉડાનો અંગે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા કરવાની અને જોખમનું સંપૂર્ણ મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે.
ALPA ઇન્ડિયાનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા પરિસ્થિતિ વધુ જટિલ અને સંવેદનશીલ બની રહી છે. યુદ્ધ જેવી સ્થિતિ, સૈન્ય કાર્યવાહી અને અચાનક બદલાતી પરિસ્થિતિઓને કારણે આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં કામગીરી કરતી નાગરિક ઉડાનો માટે નવા જોખમો ઊભા થઈ રહ્યા છે. એસોસિએશનનું માનવું છે કે પાઇલટો અને મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને કોઈપણ નિર્ણય વ્યાપક સુરક્ષા મૂલ્યાંકન બાદ જ લેવો જોઈએ.
દુબઈ અને અબુ ધાબી સહિતની ઉડાનો અંગે સાવચેતીની ભલામણ
પાઈલટ એસોસિએશને પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે દુબઈ, અબુ ધાબી સહિત ખાડી દેશો માટે સંચાલિત ભારતીય એરલાઇન્સની વ્યાવસાયિક ઉડાનો અંગે તાત્કાલિક પુનર્વિચાર કરવામાં આવે. એસોસિએશનના મતે જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર સંસ્થાઓ અને વિમાનન સુરક્ષા નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ જોખમનું મૂલ્યાંકન પૂર્ણ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.
ભારતમાંથી દરરોજ હજારો મુસાફરો મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે. આ માર્ગો ભારતીય એરલાઇન્સ માટે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય રૂટ ગણાય છે. જોકે હાલની ભૂરાજકીય સ્થિતિને જોતા સુરક્ષા નિષ્ણાતો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ALPA ઇન્ડિયાનું કહેવું છે કે સંભવિત જોખમોને અવગણવું યોગ્ય નહીં ગણાય.
પાઈલટ એસોસિએશને કયા જોખમોની વ્યક્ત કરી ચિંતા?
એસોસિએશનના જણાવ્યા મુજબ હાલનું જોખમ માત્ર સીધી સૈન્ય કાર્યવાહી પૂરતું મર્યાદિત નથી. યુદ્ધગ્રસ્ત અથવા તેની આસપાસના એરસ્પેસમાં ઉડાન ભરતા વિમાનોને અનેક પ્રકારના જોખમોનો સામનો કરવો પડી શકે છે. તેમાં કોઈ નાગરિક વિમાનની ખોટી ઓળખ થઈ જવી, મિસાઇલ હુમલાનો ભય, ઇલેક્ટ્રોનિક યુદ્ધના કારણે નેવિગેશન સિસ્ટમમાં ખલેલ, GPS સિગ્નલમાં વિક્ષેપ, અચાનક એરસ્પેસ બંધ થવો અથવા નવા પ્રતિબંધો લાગુ થવા તેમજ પાઇલટોને સમયસર ગુપ્તચર અથવા સુરક્ષા સંબંધિત માહિતી ન મળવી જેવા જોખમોનો સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉડાન સંચાલન વધુ પડકારજનક બની શકે છે.
વિમાનન ક્ષેત્રના નિષ્ણાતો પણ માને છે કે આધુનિક યુદ્ધમાં ઇલેક્ટ્રોનિક હુમલા અને GPS જામિંગ જેવી ઘટનાઓ વધી રહી છે, જે નાગરિક ઉડાનો માટે વધારાનો પડકાર ઉભો કરી શકે છે. જોકે આંતરરાષ્ટ્રીય વિમાનન સંસ્થાઓ અને એરલાઇન્સ સતત વૈકલ્પિક રૂટ તથા સુરક્ષા વ્યવસ્થાઓ અપનાવતી રહે છે.
માર્ચમાં પણ કરવામાં આવી હતી આવી જ રજૂઆત
ALPA ઇન્ડિયાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે આ પ્રથમ વખત નથી જ્યારે તેણે આવી ચિંતા વ્યક્ત કરી હોય. આ વર્ષે માર્ચ મહિનામાં પણ પશ્ચિમ એશિયામાં સૈન્ય પ્રવૃત્તિઓ વધતી જોવા મળતાં DGCAને સમાન પ્રકારની સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી હતી.
હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ તેમજ અગાઉ થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ સ્થિતિ ફરીથી સંવેદનશીલ બનતા એસોસિએશને પોતાની માંગનું પુનરાવર્તન કર્યું છે. સંસ્થાનું માનવું છે કે પરિસ્થિતિમાં સતત ફેરફાર થઈ રહ્યો હોવાથી સુરક્ષા મૂલ્યાંકન પણ સમયાંતરે અપડેટ થવું જોઈએ.
આ પણ વાંચો: ઈરાનમાં વણસી રહી છે પરિસ્થિતિ : ભારતીય નાગરિકો માટે નવી ટ્રાવેલ અડવાઈઝરી
ભારતીય મુસાફરો પર શું થઈ શકે અસર?
જો સરકાર અથવા DGCA ભવિષ્યમાં સુરક્ષા મૂલ્યાંકનના આધારે કોઈ સાવચેતીભર્યા નિર્ણય લે તો તેની અસર મિડલ ઈસ્ટ જતી કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રક, રૂટ અથવા સંચાલન પર પડી શકે છે. જોકે હાલ સુધી તમામ ઉડાનો સ્થગિત કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. ભારતીય એરલાઇન્સ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ, DGCA, એર ટ્રાફિક કંટ્રોલ અને વૈશ્વિક વિમાનન માર્ગદર્શિકાના આધારે પોતાના રૂટમાં જરૂરી ફેરફાર કરતી રહે છે. જોખમ વધે ત્યારે એરસ્પેસ ટાળવો, વૈકલ્પિક માર્ગ અપનાવવો અથવા ફ્લાઇટનો સમય બદલવો જેવા વિકલ્પો પણ અપનાવવામાં આવે છે. મિડલ ઈસ્ટ ભારત માટે મહત્વપૂર્ણ હવાઈ માર્ગ છે. લાખો ભારતીયો ત્યાં નોકરી, વ્યવસાય અને પ્રવાસ માટે નિયમિત અવરજવર કરે છે. તેથી આ ક્ષેત્રમાં સર્જાતી કોઈપણ સુરક્ષા સ્થિતિનો સીધો પ્રભાવ ભારતીય મુસાફરો અને એરલાઇન્સ પર પડી શકે છે.
ફિલ્હાલ ALPA ઇન્ડિયાની રજૂઆત બાદ હવે કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સમગ્ર વિમાનન ઉદ્યોગની નજર છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં દરેક નિર્ણય મુસાફરો અને પાઇલટોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવો જરૂરી રહેશે.





