Home International India Summons Russian Envoy After Ukraine Missile Attack On Cargo Ship 4 Indian Seafarers Die

યુક્રેન પાસે કાર્ગો જહાજ પર મિસાઇલ હુમલો : 4 ભારતીય નાવિકોના મોત, ભારતે રશિયા સામે નોંધાવ્યો કડક વિરોધ

Indian Sailors Die in Ukraine Missile Attack
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 06:59 AM IST

Indian Sailors Die in Ukraine Missile Attack: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર નાગરિક જહાજ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. યુક્રેનના ઓડેસા બંદર નજીક એક વેપારી કાર્ગો જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટનામાં એક અન્ય ભારતીય નાવિક ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને ભારત સરકારે નવી દિલ્હીમાં રશિયાના રાજદૂતને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વેપારી જહાજોને નિશાન બનાવવું અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકવા જેવી ઘટનાઓ સ્વીકાર્ય નથી. બીજી તરફ યુક્રેને પણ હુમલાની નિંદા કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ દેખરેખ મિશનની માંગ કરી છે.

ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર મિસાઇલ હુમલો

અહેવાલો મુજબ, 19 જુલાઈની સાંજે ગિની-બિસાઉના ધ્વજ હેઠળ સંચાલિત વેપારી જહાજ 'એમવી ગોલ્ડન લિયો' (MV Golden Leo) યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થઈ રહ્યું હતું. તે દરમિયાન જહાજ પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય નાવિકો પણ સામેલ હતા. હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હતા, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયાના અહેવાલો છે, જેમાં સીરિયાના કેટલાક નાગરિકો પણ સામેલ હોવાનું જણાવાયું છે.

ભારતે રશિયાના રાજદૂતને તલબ કર્યા

આ ઘટનાને ગંભીરતાથી લેતા ભારત સરકારે રશિયાના રાજદૂતને તલબ કરીને સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે મૃતક ભારતીયોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભારત પોતાના નાગરિકોના જીવને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, વેપારી જહાજો અને નાગરિકોને નિશાન બનાવવાના હુમલા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સિદ્ધાંતોના વિરુદ્ધ છે અને આવા હુમલાઓ માટે જવાબદારી નક્કી થવી જરૂરી છે.

Image

ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ઘાયલ ભારતીય નાવિકને જરૂરી મદદ મળી રહે અને મૃતકોના પરિવારજનો સુધી તમામ માહિતી પહોંચે તે માટે ભારતીય અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે. સરકારે જણાવ્યું છે કે, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: અમેરિકાએ હવે આ મિત્ર દેશને આપ્યો મોટો ઝટકો! : ટ્રમ્પના 50% ટેરિફથી ફરી ગરમાયું ટ્રેડ વોર

કેરળ સરકાર પણ હરકતમાં આવી

હુમલામાં કેરળના એક નાવિકના મોતના અહેવાલ બાદ કેરળ સરકાર પણ સક્રિય બની છે. મુખ્યમંત્રી કાર્યાલયે NORKA વિભાગને સમગ્ર ઘટનાની વિગત મેળવવા માટે રશિયન કોન્સ્યુલેટ તેમજ ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકાર મૃતકના પરિવારને જરૂરી સહાય અને માહિતી પહોંચાડવા માટે પણ કાર્યવાહી કરી રહી છે.

યુક્રેને પણ હુમલાની કરી નિંદા

યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની ટીકા કરતાં આરોપ લગાવ્યો કે રશિયા ઈરાદાપૂર્વક વેપારી જહાજો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા માર્ગોને નિશાન બનાવી રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO)ને યુક્રેનના બંદરો પર આંતરરાષ્ટ્રીય દેખરેખ મિશન તૈનાત કરવાની અપીલ કરી છે, જેથી વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો: અમેરિકી સૈનિકોના મોતથી ભડક્યા ટ્રમ્પ! : ઈરાનને આપી 'ભારે કિંમત' ચૂકવવાની કડક ચેતવણી! શું ફરી ભડકશે મહાયુદ્ધ?

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વધતી ચિંતા

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બ્લેક સી વિસ્તારમાં વેપારી જહાજોની સુરક્ષા સતત ચિંતાનો વિષય બની રહી છે. અનેક વખત વેપારી જહાજો અને બંદરો પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને ખાદ્ય પુરવઠા પર પણ અસર પડી રહી છે. ભારતીય નાવિકોના મોતની આ ઘટના બાદ ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હવે સૌની નજર રશિયાના સત્તાવાર પ્રતિસાદ અને આ ઘટનાની આગળની તપાસ પર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now