રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના રાજીનામા બાદ દેશમાં ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ભારતની ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આ ચૂંટણી 9 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પહેલાં ભાજપે રાજ્યસભામાં ફરી એકવાર મહત્વપૂર્ણ લીડ મેળવી છે.
રાજકીય રીતે મહત્વપૂર્ણ લીડ
એપ્રિલ 2022 પછી, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્યોની સંખ્યા રાજ્યસભામાં 100ના આંકડાને વટાવી ગઈ છે. હાલમાં ભાજપના કુલ 102 સભ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલા ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યસભામાં પાર્ટીને પોતાનું પાયાનું મજબૂત કરવાનું મહત્વનું પગથિયું સાબિત થઈ શકે છે.
કોના કારણે આવી લીડ?
હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામાંકિત કર્યા હતા ચાર વ્યક્તિઓને રાજ્યસભા માટે, જેમાંથી ત્રણ સભ્યોે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે:
ઉજ્જવલ નિકમ – પ્રખ્યાત સરકારી વકીલ, જેમણે 26/11 મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીની સજા અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હર્ષવર્ધન શ્રૃંગલા – ભૂતપૂર્વ વિદેશ સચિવ અને G20 સમિટના સંયોજક રહી ચૂક્યા છે.
સી સદાનંદન માસ્ટર – કેરળના શિક્ષક અને સામાજિક કાર્યકર, જેમણે રાજકીય હિંસાના પીડિત તરીકે પણ જીવનમાં મોટી લડાઈ લડી છે.
આ ત્રણ સભ્યોના જોડાણ પછી, ભાજપની કુલ સંખ્યા ફરી 102 થઇ છે. બાકી ચોથી નામાંકિત સભ્ય છે મીનાક્ષી જૈન, રાજકીય ઇતિહાસકાર, જે હજુ સુધી કોઈ પક્ષ સાથે જાહેરરૂપે જોડાયા નથી.
રાજ્યસભામાં વર્તમાન સંયોજન
હાલમાં રાજ્યસભામાં કુલ 240 બેઠકો છે. તેમાં 12 નામાંકિત સભ્યો અને 5 ખાલી બેઠકોનો સમાવેશ થાય છે. NDA (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન) પાસે ભાજપ સહિત કુલ 134 સાંસદો છે. ગૃહમાં બહુમતી મેળવવા માટે 121 સભ્યોની જરૂર હોય છે. એટલે કે, ભાજપ એકલામાંજ બહુમતી નજીક પહોંચી ગયો છે.
અગાઉ પણ મળી હતી લીડ
આ પ્રથમ વખત નથી જ્યારે ભાજપે રાજ્યસભામાં 100 થી વધુ બેઠકો મેળવી હોય. માર્ચ 2022માં 13 બેઠકો માટેની ચૂંટણી બાદ ભાજપની સંખ્યા 97 થી વધીને 101 થઈ ગઈ હતી.





