ડિસેમ્બર 1996માં મુંબઈના જૂહુમાં છોટા રાજનના બે ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટર કરવામાં આવે છે, કારણકે કથિત રીતે પોલીસ ઈન્સપેક્ટર દયા નાયક પર ફાયરિંગ કરવામાં આવે છે. બસ આ ઘટનાક્રમથી મુંબઈ પોલીસમાં દયા નાયકની લોકપ્રિયતા વધી જાય છે.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક
80થી વધુ એન્કાઉન્ટરમાં નામ સામેલ
મુંબઈ પોલીસના જાંબાઝ અનુભવી પોલીસ અધિકારી
મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં દયા નાયક ક્રાઈમ બ્રાન્ચની ટીમને લીડ કરી રહ્યા છે. દયા નાયક મુંબઈ પોલીસના સિનિયર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી છે. ત્યારે જાણીએ કોણ છે એ જાંબાઝ પોલીસ ઓફિસર દયા નાયક?
મુંબઈના જાણિતા પોલીસ અધિકારી દયા નાયક
કર્ણાટકના ઉડ્ડુપીમાં કોંકણી ભાષા પરિવારમાં જન્મેલા દયા બડ્ડા નાયક અને રાધા નાયકના સૌથી નાના પુત્ર છે. પોતાના ગામમાં તેમણે કન્નડ માધ્યમ સ્કૂલમાં ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો જે બાદ પોતાના પરિવારની મદદ કરવા માટે નોકરીની શોધમાં વર્ષ 1979માં મુંબઈ (તે સમયનું મુંબઈ)માં આવ્યા. મુંબઈમાં તેઓ પોલીસમાં જોડાયા. ગેંગસ્ટર્સ અને ગુંડા તત્વો સાથે ઘર્ષણમાં ગુનેગારોને મોતને ઘાટ ઉતારવા માટે તેઓ જાણીતા છે. દયા નાયક વર્ષ 1995ની બેચના પોલીસ અધિકારી છે. અનેક ખૂંખાર ગુનેગારોની ધરપકડ કરવાનો રેકોર્ડ દયા નાયકે બનાવ્યો છે. મહારાષ્ટ્રમાં ATSમાં તેઓ 3 વર્ષ કામ કરી ચૂક્યા છે.
80થી વધુ એન્કાઉન્ટર દયા નાયકના નામે
વર્ષ 1996માં જૂહુ પોલીસમાં તેમણે જવાબદારી સંભાળી ત્યારથી અંડરવર્લ્ડ નેટવર્ક ખત્તમ કરવાના કામમાં લાગી ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ દયા નાયકે 80થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. હાલ દયા નાયક મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે.
વિવાદો સાથે પણ નાતો
હાઈ પ્રોફાઈલ પોલીસ અધિકારી દયા નાયકનો વિવાદ સાથે પણ નાતો જૂનો છે. આવક કરતા વધારે સંપતિ જમા કરવાના કેસમાં તેમની સામે તપાસ ચાલી હતી. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોને દયા નાયક સામે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. દયા નાયક સામે ગુનો નોંધાયો હતો, અને બેંગ્લુરુમાં 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, તપાસમાં સામે આવ્યુ હતું કે દયા નાયક કથિત રીતે લકઝરી બસની બે કંપનીમાં માલિકી ધરાવે છે. તે સમયે દયા નાયકની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાની ઘટનાને લઈ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. સુરક્ષા મુદ્દે મુંબઈ પોલીસ પર સવાલ પણ ઉઠાવાઈ રહ્યા છે, તેવામાં દયા નાયક પર આ કેસને લઈ દબાણ રહેશે તે સ્વાભાવિક છે.





