નર્મદા જિલ્લામાં ધર્માંતરણના મુદ્દે રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાત દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં કાચા કે પાકા ચર્ચો બનાવી ખ્રિસ્તી (હાલેલુયા) પાષ્ટરો દ્વારા આદિવાસી સમાજનું મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ સ્થિતિ આવનારા સમયમાં ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ
આ મંચ દ્વારા આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંચનું કહેવું છે કે આ વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે કાચા કે પાકા ચર્ચો ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાંથી આદિવાસી સમાજને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવે છે'.
રાષ્ટ્રીય આદિજાતિ મંચ શું કરી રજૂઆત?
આ સાથે રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાતે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, બિનઅધિકૃત ખ્રિસ્તી સમુદાયો હોવા છતાં નાતાલ પર્વની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવે છે, જે યોગ્ય નથી. આવી પરવાનગીઓ આપવામાં ન આવે તેવી પણ માંગ પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી છે.
'આદિવાસી મૂળ આદિવાસી જ રહે છે'
આ ધર્માતરણ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, જેમાં દરેકને પોત પોતાનો અધિકાર છે પરંતુ મારા ધ્યાનમાં આ બાબતની વાત સામે આવી નથી, ગમે તે ધર્મમા જાય પરંતુ આદિવાસી મૂળ આદિવાસી જ રહે છે.





















