ભારત સરકાર દ્વારા દુનિયાભરના દેશોમાં ઓપરેશન સિંદૂરનુું સત્ય જણાવવા માટે અલગ-અલગ ડેલિગેશનને મોકલવામાં આવ્યાં છે. જેમાં વિપક્ષના સાંસદોને પણ સામેલ કરવામાં આવ્યા છે. કારણકે, આ પક્ષની નહીં પણ દેશની વાત છે. બિલકુલ એજ રીતે જે પ્રકારે ઈન્દિરા ગાંધીએ પોતે સરકારમાં હોવા છતાં વિપક્ષના નેતા અટલજીને મોકલ્યાં હતાં. જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલામાં કરાયેલા આતંકી હુમલા તેમાં પાકિસ્તાનની ભૂમિકા અને ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી કરેલી કાર્યવાહીને દુનિયા સમક્ષ મુકવા માટે અલગ અલગ પ્રતિનિધિમંડળો હાલ વિશ્વના દેશોના પ્રવાસે છે.
ત્યારે શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ શનિવારે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યું હતું. જેમણે ત્યાં જઈને પાકિસ્તાનની નાપાક હરકત અને ભારતે કરેલી કાર્યવાહીને પ્રસ્તુત કરી અને તેના પ્રમાણ આપ્યાં. અમેરિકાની ધરતી પર પગ મુકતાની સાથે જ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કર્યા ઓપરેશન સિંદૂર અને સરકારની કામગીરીના વખાણ. શશી થરુરે અમેરિકાના ઉચ્ચઅધિકારીઓ અને ત્યાંની સરકારના પહેલી હરોળના પદાધિકારીઓની સામે કહ્યુંકે, હું ભારત સરકાર માટે કામ નથી કરતો. હું વિપક્ષનો સાંસદ છું, પરંતુ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાન સામે ભારત સરકારે કરેલી કાર્યવાહીથી હું ખુબ ખુશ છું. આ કાર્યવાહી જરૂરી હતી અને ભારતે તેને સારી રીતે કરી છે. તેના પર કોઈપણ પ્રકારનો સવાલ ના હોઈ શકે. હું એક વિપક્ષી પાર્ટી માટે કામ કરું છું, પણ મને એ કહેતા આનંદ થાય છે કે ભારતે પાકિસ્તાનને જે જવાબ આપ્યો તે બિલકુલ સાચો હતો.
#WATCH | New York, US: Congress MP Shashi Tharoor says, " We are not interested in warfare with Pakistan. We would much rather be left alone to grow our economy and pull our people into the world they are getting ready for in the 21st century. But, the Pakistanis sadly, we might… pic.twitter.com/vkzVFk8bi3
— ANI (@ANI) May 25, 2025
બીજી બાજુ, બહેરીન પહોંચેલા પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતુંકે, ભારત સરકારે અમને અહીં એટલા માટે મોકલ્યા છે જેથી દુનિયાએ જાણી શકે કે ભારત ઘણાં વર્ષોથી આતંકવાદના ખતરાનો સામનો કરી રહ્યું છે. આતંકવાદનો જન્મદાતા અને તેનો પાલક પાકિસ્તાન જ છે. પાકિસ્તાનની ધરતી પરથી જ આતંકવાદની શરૂઆત થાય છે. જ્યાં સુધી પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને પ્રોત્સાહન, સહાય અને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આનો અંત નહીં આવે.
આ સાથે જ ઓવૈસીએ પાકિસ્તાનને ફરીથી FATF એટલેકે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં નાખવામાં ભારતને મદદ કરવા આહવાન કર્યું હતું. તેમણે એવો પણ તર્ક રજૂ કર્યો હતો કે જે પૈસા પાકિસ્તાનને સહાય પેઠે આપવામાં આવે છે તેનો ઉપયોગ તે આતંકવાદને પોસવામાં કરે છે. તેથી આ સહાય બંધ કરવામાં આવવી જોઈએ.
ઉલ્લેખનીય છેકે, ભારતના તમામ 7 પ્રતિનિધિમંડળો ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા અને પાકિસ્તાન વિશે સત્ય જણાવવા માટે વિશ્વના દેશોમાં પહોંચ્યા છે. શનિવારે, 4 પ્રતિનિધિમંડળો વિદેશ જવા રવાના થયા. આ પહેલા, 21 મેના રોજ બે પ્રતિનિધિમંડળ અને 22 મેના રોજ એક પ્રતિનિધિમંડળ વિદેશ ગયું હતું.






