Home Gujarat Nari Shakti Vandan Sammelan Ahmedabad Harsh Sanghvi

DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘નારી શક્તિ વંદન સંમેલન’ યોજાયું : પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનું નેતૃત્વ હવે અનિવાર્ય

Harsh Sanghavi
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 07:04 AM IST

Harsh Sanghavi : DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની ‘બિઝનેસ વુમન કમિટી’ ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ‘નારી શક્તિ વંદન સંમેલન’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની સશક્ત ભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને ‘વિકસિત ભારત @ 2047’ ના ધ્યેય હેઠળ ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ ના સંકલ્પને મજબૂત કરવાનો રહ્યો હતો. વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકાને નિર્ણાયક ગણાવી ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને નેતૃત્વના દરેક સ્તરે આગળ આવવા પ્રોત્સાહિત કરી હતી.નારી શક્તિ વંદન સંમેલનમાં DyCM હર્ષ સંઘવીએ શું કહ્યું?

નારી શક્તિ વંદન સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સંસદમાં રજૂ થનાર 'નારી શક્તિ વંદન બિલ' કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભારતની આવનારી પેઢીઓ આ ઐતિહાસિક નિર્ણય માટે કાયમ આભારી રહેશે. વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિત્વ માટે જે બીજ રોપ્યા હતા, તે આજે 50% મહિલા અનામત દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વટવૃક્ષ બન્યા છે અને હવે આ યાત્રા સંસદ સુધી પહોંચી છે. મહિલાઓ જ્યારે પોતે પ્રતિનિધિત્વ કરે છે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નો અને અનુભવો વધુ મજબૂતાઈથી રજૂ થાય છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સરહદી ગામડાઓની બહેનો આજે બનાસ ડેરીના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે અદભૂત નેતૃત્વ પૂરું પાડી રહી છે, જે તેમના આત્મવિશ્વાસનું પ્રતીક છે. મેનેજમેન્ટના પાઠ શીખવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી, એક માતા જે રીતે આખા પરિવારને એક રાખે છે અને ઘરનું સંચાલન કરે છે તે વિશ્વના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ક્લાસ સમાન છે.રાજનીતિ એ લોકોના દુઃખ દૂર કરવાનું અને સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે

તેમણે બહેનોને આહવાન કર્યું હતું કે તમે ઘર, બિઝનેસ, મેડિકલ કે પોલિટિકલ, ગમે તે ફિલ્ડમાં હોવ, તમારી લીડરશીપ મજબૂત બનાવો. રાજનીતિ એ લોકોના દુઃખ દૂર કરવાનું અને સેવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેમાં મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. નારી શક્તિ વંદન બિલ પાસ થવાની સાથે જ દેશની કરોડો મહિલાઓનો અવાજ વધુ બુલંદ થશે અને આવતીકાલનો સૂર્યોદય મહિલા સશક્તિકરણ માટે નવી આશા લઈને આવશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે આર.જે. દેવકી, સામાજિક અગ્રણી રુઝાન ખંભાતા, એનએચએલ મેડિકલ કોલેજના ડો. ચેરી શાહ, આર્ટિસ્ટ રૂબી જાગૃત અને જીસીસીઆઈ વુમન બિઝનેસ કમિટીના ચેરપર્સન આશા વઘાસિયા જેવી વિવિધ ક્ષેત્રની પ્રબુદ્ધ મહિલાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ વક્તાઓએ મહિલા અનામત બિલના ઐતિહાસિક મહત્વ, નિર્ણય પ્રક્રિયામાં નારી શક્તિની ભાગીદારી, ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રે સ્ત્રીઓનું વધતું પ્રદાન તેમજ સામાજિક અને કુટુંબિક સ્તરે મહિલાઓના મજબૂત નેતૃત્વ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કરતા આ વક્તાઓએ જણાવ્યું હતું કે, યોગ્ય પાત્રતા અને આત્મવિશ્વાસ દ્વારા જ નારી શક્તિ ખરા અર્થમાં સશક્ત બની શકશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓ માટે લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણયો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.નારી શક્તિ વંદન સંમેલનમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા?

નારી શક્તિ વંદન સંમેલનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર મુકેશ કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનીધી પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, સ્ત્રીશક્તિ સંસ્થાના પ્રતિનિધિઓ, GCCI ના હોદ્દેદારો, સામાજિક મહિલા અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now