સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એક ગામમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતા વગર પોતાની માતા સાથે રહેતી એક અર્ધપાગલ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આરોપી નરાધમને ઝડપવા માટે બાતમીદારોને કામે લગાવ્યા છે.
ફરિયાદ મુજબ, સગીરા પોતાની માતા સાથે રહેતી હતી. માતા રોજ ખેતરોમાં મજૂરી કામે જતી હોવાથી સગીરા દિવસ દરમિયાન ગામમાં આસપાસ ફરતી હતી. સમય જતાં સગીરાનું પેટ ઉપસી આવતાં માતાને શંકા જતા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની તપાસમાં ખુલાસો થયો કે સગીરા નવ માસની ગર્ભવતી છે.
પરિવારજનો અને સગા-વાહલાઓની સલાહ બાદ માતાએ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને પહોંચીને પોતાની સગીર પુત્રી સાથે થયેલા દુષ્કર્મ અંગે ન્યાયની માંગ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભોગ બનનાર સગીરાને પહેલા પાટડી અને બાદમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર સગીરાને કોઈ પણ સમયે ડિલિવરી થઈ શકે છે, જેથી હાલ તેને સતત મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. બીજી બાજુ, પોલીસ દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપવા માટે તપાસનો દોર તેજ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં આરોપી સામે કડકમાં કડક સજા કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.




















