Narmada News : નર્મદા જિલ્લામાં રાજકીય ચર્ચાઓ વચ્ચે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સોશિયલ મીડિયા દ્વારા એક આડકતરો જવાબ આપતાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે, 'છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અમે જ કંઈક છીએ તેવો ભાવ પ્રસારિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે માટે મારા નામનો અવારનવાર ઉપયોગ કરી રહ્યા છે'.
'હું ચૈતર વસાવા અને એમના જેવા અન્યને જણાવવા માંગું છું કે,..'
નાંદોદ MLA ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાના સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, 'હું ચૈતર વસાવા અને એમના જેવા અન્યને જણાવવા માંગું છું કે મારા વિસ્તારના સાંસદ જશુંભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ અમે વિકાસના કામો કરીએ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “મારે ક્યાં હાજર રહેવાનું અને ક્યાં નહીં તે અંગે મને કોઈપણ બાહ્ય સૂચનાની જરૂર નથી'
મનસુખ વસાવા માટે આડકતરો જવાબ!
આ નિવેદનને રાજકીય બૃત્તોમાં સાંસદ મનસુખ વસાવા માટે આડકતરો જવાબ માનવામાં આવી રહ્યો છે, જોકે ધારાસભ્યએ તેમના નામનો સીધો ઉલ્લેખ કર્યો નથી. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કાર્યક્રમમાં હાજર-ગેર હાજરનો મામલો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ મનસુખ વાસાવાએ એક કાર્યક્રમમાં ચૈતર વસાવા પર અને ધારાસભ્યની ગેર હાજરી મુદ્દે તીખા પ્રહાર કર્યા હતા. જે બાદ નર્મદા- ભરૂચનો વાતાવરણ ગરમાયો હતો. જે મામલા બાદ ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી હતી. જો કે, હવે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ આડકતરી રીતે મેદાન આવ્યા છે.





















