પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો, જેમાં સ્કૂલ જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈ જતી એક વાન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે, જ્યારે પાંચ અન્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને પ્રથમ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માત પૂર્વ રેલવેના સિયાલદહ ડિવિઝન હેઠળ આવેલા મુર્શિદાબાદ જિલ્લાના બરહામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણસુબર્ણ અને ગોવિંદપુર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ પર થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની ટક્કર બાદ સ્કૂલ વાનના ફુરચા ઉડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલી વાન ખાનગી શાળાની હતી અને તેમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવી રહ્યા હતા. સવારે જ્યારે વાન રેલવે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક નિમતિતા-કાટોયા પેસેન્જર ટ્રેન આવી પહોંચી અને વાન સાથે જોરદાર ટક્કર થઈ.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે વાન હવામાં ઉછળીને રેલવે ટ્રેકની બીજી તરફ ફંગોળાઈ ગઈ. અકસ્માત સમયે વાનમાં ડ્રાઈવર સહિત કુલ આઠ લોકો સવાર હતા. ટક્કર બાદ વાનમાં બેઠેલા બાળકોમાં ચીસો પડી ગઈ હતી અને આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
ખુલ્લો રેલવે ફાટક અકસ્માતનું કારણ?
સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત સમયે રેલવે ક્રોસિંગનો ફાટક ખુલ્લો હતો. તેમના કહેવા પ્રમાણે, પહેલા એક ટ્રેન પસાર થવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ બીજી લાઇન પરથી આવતી ટ્રેન માટે ફાટક ફરી બંધ કરવામાં આવ્યો ન હતો. આ કારણસર સ્કૂલ વાનના ડ્રાઈવરે રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન ઝડપથી આવી રહેલી પેસેન્જર ટ્રેન સાથે વાન અથડાઈ ગઈ. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે સત્તાવાર તપાસ હજુ ચાલી રહી છે અને અંતિમ અહેવાલ બાદ જ સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે.
ગેટમેનની ભૂમિકા અંગે પણ ઉઠ્યા સવાલ
પ્રાથમિક અહેવાલોમાં રેલવે ક્રોસિંગ પર ફરજ પર રહેલા ગેટમેનની કામગીરી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે જો સમયસર ફાટક બંધ કરવામાં આવ્યો હોત તો આ અકસ્માત ટાળી શકાય તેમ હતો.
જોકે રેલવે અધિકારીઓએ હજુ સુધી ગેટમેનની બેદરકારી અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: દેહરાદૂનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં મોટી દુર્ઘટના : લોખંડનો સળિયો પડતાં કોંગ્રેસ કાર્યકરનું મોત
ઘાયલ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ વિદ્યાર્થીઓને કર્ણસુબર્ણ બ્લોક હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન બે વિદ્યાર્થીઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય પાંચ ઘાયલોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડૉક્ટરોની વિશેષ ટીમ તેમની સારવારમાં લાગી છે. કેટલાક વિદ્યાર્થીઓની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.
રેલવે અને પોલીસ દ્વારા તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ થોડા સમય માટે રેલવે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.
પૂર્વ રેલવેએ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન રેલવે ક્રોસિંગની કામગીરી, સિગ્નલ સિસ્ટમ, ગેટમેનની ફરજ અને અકસ્માતના તમામ સંજોગોની વિગતવાર તપાસ કરવામાં આવશે. જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.





