Home National Mumbai Rain Fury 41 Trains Cancelled Waterlogging Western Central Railway Gujarati News

મુંબઈમાં વરસાદનો તાંડવ! : 41 ટ્રેનો રદ, અનેક MEMU સેવાઓ બંધ; પાણી ભરાવાથી રેલ વ્યવસ્થા ખોરવાઈ

Mumbai Rain Today
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 07, 2026, 05:40 AM IST

Mumbai Rain Today: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસાએ ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ખાસ કરીને રેલવે સેવાઓ પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કેટલાક મહત્વપૂર્ણ ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. મુંબઈમાં સોમવારના ભારે વરસાદ બાદ મંગળવારે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં પરિસ્થિતિ હજી સામાન્ય થઈ નથી. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે અને રેલવે ટ્રેક પરથી પાણી કાઢવા તથા નુકસાનગ્રસ્ત વિસ્તારોને પુનઃ કાર્યરત બનાવવા માટે કામગીરી ચાલુ છે. આ દરમિયાન લાંબા અંતરની ટ્રેનો ઉપરાંત લોકલ અને MEMU સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

પશ્ચિમ રેલવેમાં પાણી ભરાવાના કારણે ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર વચ્ચેના વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે અનેક મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ થયેલી ટ્રેનોમાં પોરબંદર-દાદર એક્સપ્રેસ (19016), વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (19218) અને ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (12941)નો સમાવેશ થાય છે. ઉપરાંત 9 જુલાઈએ દોડનારી આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (12942) પણ રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોધપુર-હડપસર એક્સપ્રેસ અને શ્રીગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસને સુરત, પાલધી, જલગાંવ, મનમાડ અને દૌંડ માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે તિરુવનંતપુરમ નોર્થ-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનને પણ પનવેલથી સુરત વચ્ચે વૈકલ્પિક માર્ગ પર દોડાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વરસાદનો મહાકહેર : મુંબઈમાં 10 ઈંચ વરસાદ, વર્ક ફ્રોમ હોમ, શાળા-કોલેજો બંધ, 13 લોકોનાં મોત

અનેક MEMU સેવાઓ પણ રદ

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેએ મંગળવારે અનેક MEMU સેવાઓ રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રદ કરાયેલી સેવાઓમાં દહાણુ રોડ-પનવેલ, પનવેલ-વસઈ રોડ, વસઈ રોડ-પનવેલ, દહાણુ રોડ-બોરીવલી અને બોરીવલી-વલસાડ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત વિરાર-સુરત MEMU ટ્રેન હવે વલસાડથી શરૂ થશે અને સુરત સુધી જ દોડશે.

રેલવે તંત્રે મુસાફરોને નેશનલ ટ્રેન એન્ક્વાયરી સિસ્ટમ (NTES) અથવા રેલવેના સત્તાવાર માધ્યમો દ્વારા ટ્રેનની સ્થિતિ ચકાસીને જ સ્ટેશન પર જવાની સલાહ આપી છે.

મધ્ય રેલવેમાં ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર

મધ્ય રેલવે પણ ભારે વરસાદના પ્રભાવમાંથી બહાર આવી શકી નથી. કરજત-લોનાવાલા ઘાટ વિભાગમાં સોમવારના વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલન થયાના કારણે ટ્રેન વ્યવહાર પર વ્યાપક અસર પડી છે. મધ્ય રેલવેના તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 41 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત 59 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 20 ટ્રેનોને મધ્યમાર્ગે સમાપ્ત કરવામાં આવી છે અને 22 ટ્રેનોને અન્ય સ્ટેશનો પરથી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. લોનાવાલા અને પુણે વચ્ચે દોડતી ચાર લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

IMDનો ઓરેન્જ એલર્ટ, 8 જુલાઈ સુધી સાવચેત રહેવા સૂચના

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે અગાઉ જાહેર કરાયેલ રેડ એલર્ટને ઓરેન્જ એલર્ટમાં ફેરવ્યો છે. જોકે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા યથાવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 8 જુલાઈ સુધી મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેથી સ્થાનિક પ્રશાસનને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પેટ્રોલ ભરાવતા પહેલાં આ વાંચી લો : આજે બદલાયા ઈંધણના ભાવ, જાણો અમદાવાદ-સુરત સહિતના શહેરોનાં નવા રેટ

શાળાઓ-કોલેજોમાં રજા જાહેર

મુંબઈમાં સતત વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ તમામ સરકારી, ખાનગી અને નાગરિક સંચાલિત શાળાઓ તથા કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. નાગરિકોને અનિવાર્ય જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કોઈ પણ તાત્કાલિક મદદ માટે BMCની ઈમર્જન્સી હેલ્પલાઇન 1916 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ-પુણે માર્ગ પર પણ અસર

ભારે વરસાદની અસર માત્ર મુંબઈ પૂરતી મર્યાદિત રહી નથી. સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદી માહોલને કારણે પરિવહન વ્યવસ્થાને અસર પહોંચી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો "મિસિંગ લિંક" વિભાગ કાટમાળ દૂર કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વાહનચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. કરજત-લોનાવાલા ઘાટ વિભાગમાં થયેલા ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણે રેલવે માર્ગ પર હજી પણ અવરોધો યથાવત છે અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now