2008ના મુંબઈ આતંકી હુમલાના દોષિત તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લઈ જતું વિશેષ વિમાન દિલ્હી પહોંચ્યું છે. પ્લેન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીંથી તહેવ્વુરને સીધા NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. NIA હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ધરપકડ બાદ રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરક્ષા કારણોસર, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ દેખાવની શક્યતા છે. જો આ શક્ય ન હોય તો, તેને વિશેષ ન્યાયાધીશના નિવાસસ્થાને શારીરિક રીતે રજૂ કરવામાં આવી શકે છે. કોર્ટમાં હાજરી દરમિયાન NIA રાણાની કસ્ટડી માંગશે જેથી તેને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય. જેથી વધુ તપાસ થઈ શકે. જેના દ્વારા NIA અંતિમ અથવા અપડેટેડ ચાર્જશીટ ફાઇલ કરશે.
કેસની સુનાવણી:
આ કેસની સુનાવણી દિલ્હીની વિશેષ NIA કોર્ટમાં થશે. ફેબ્રુઆરી 2024 માં, પટિયાલા હાઉસ કોર્ટે મુંબઈ હુમલા સાથે સંબંધિત ટ્રાયલ રેકોર્ડ્સ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો, તે સુનિશ્ચિત કર્યું હતું કે રાણા સામેની કાર્યવાહી દિલ્હીમાં થશે. તેને તિહારમાં જ રાખવામાં આવશે. હવે તે મુંબઈની જેલમાં રહેશે નહીં. રાણાને તિહાર જેલમાં રાખવામાં આવશે, જ્યાં તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેને વિશેષ કેદીનો દરજ્જો મળશે. જેના કારણે તેને સંપૂર્ણપણે અલગ અને સુરક્ષિત સેલમાં રાખવામાં આવશે.
શું રાણાને વકીલ મળશે?
જો તેહવ્વુર રાણા વકીલ રાખવા માંગે છે, તો તેને તે કરવાનો અધિકાર છે, પરંતુ જો કોઈ વકીલ તેનો કેસ લડવા તૈયાર ન હોય, તો કોર્ટ પોતે જ તેને વકીલ આપશે. ભારતનું બંધારણ દરેક આરોપીને કાનૂની પ્રતિનિધિત્વનો અધિકાર પ્રદાન કરે છે, જેમ કે કલમ 22(1) માં ઉલ્લેખ કર્યો છે, જે જણાવે છે કે વકીલની હાજરી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખવામાં આવશે નહીં.
સરકારી વકીલ કોણ છે?
કેન્દ્ર સરકારે આ કેસ માટે નરેન્દ્ર માનને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક 9 એપ્રિલ, 2025 ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના હેઠળ કરવામાં આવી હતી, જે ત્રણ વર્ષ માટે અથવા કેસની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી માન્ય છે. નરેન્દ્ર માન એનઆઈએ વતી તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી વિરુદ્ધ કેસ લડશે.
તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને સમર્થન આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તે લોસ એન્જલસના ડિટેન્શન સેન્ટરમાં બંધ હતો. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલા ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં નવ હુમલાખોરો સહિત કુલ 175 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે બુધવારે ગૃહ મંત્રાલયમાં રાણાને ભારત લાવવા માટે બેઠક યોજી હતી.
રાણાની ભૂમિકા સાબિત થઈ છે - યુએસ:
યુએસ સરકારે કહ્યું, 'હેડલીએ કહ્યું કે રાણાએ એક વ્યક્તિને હેડલી માટે દસ્તાવેજો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો જેથી મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઓફિસ ખોલવાની નકલી વાર્તા સાચી સાબિત થાય. રાણાએ જ હેડલીને સલાહ આપી હતી કે ભારત આવવા માટે વિઝા કેવી રીતે મેળવવો. આ તમામ બાબતો ઈમેલ અને અન્ય દસ્તાવેજો દ્વારા સાબિત થઈ છે.






