ભારતના બે સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના ઇંધણ રિટેલ સેક્ટરમાં એક ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, રિલાયન્સની જિયો-બીપી (Reliance BP Mobility Ltd) અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એકબીજાના રિટેલ નેટવર્કનો લાભ લઈને ઓટોમોટિવ ઇંધણનું વેચાણ કરશે. આ તેમની બીજી મોટી વ્યાપારિક ભાગીદારી છે, જે ભારતના ઇંધણ રિટેલ બજારને નવી દિશા આપવાની સંભાવના ધરાવે છે.
અંદાણી-અંબાણીની આ મોટી ભાગીદારી
અદાણી ટોટલ ગેસના પસંદગીના આઉટલેટ્સ પર જિયો-બીપીના ઉચ્ચ-ગુણવત્તાવાળા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થશે. બીજી તરફ જિયો-બીપીના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ પર અદાણી ટોટલ ગેસના CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ડિસ્પેન્સિંગ યુનિટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ખાસ કરીને અદાણીના Geographical Areas-GAsમાં આ ભાગીદારી હાલના અને ભવિષ્યના બંને આઉટલેટ્સને આવરી લેશે. જિયો-બીપી, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુકેની બીપી (British Petroleum)નું સંયુક્ત સાહસ છે, તે દેશભરમાં લગભગ 2,000 ફ્યુઅલ આઉટલેટ્સ ધરાવે છે. બીજી તરફ અદાણી ટોટલ ગેસ, જે અદાણી ગ્રૂપ અને ફ્રાન્સની ટોટલ એનર્જીઝનું સંયુક્ત સાહસ છે, તે 650 જેટલા CNG સ્ટેશન્સ ચલાવે છે. આ ભાગીદારી બંને કંપનીઓના નેટવર્કની ખામીઓને દૂર કરશે અને ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇંધણની વધુ સુલભતા પૂરી પાડશે.
અગાઉ પણ એક ભાગીદારી કરી હતી
જિયો-બીપીના હેડ સાર્થક બેહુરિયાએ જણાવ્યું, “અમે ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઇંધણની વિશાળ શ્રેણી પૂરી પાડવાના સહિયારા વિઝન દ્વારા એકજૂટ છીએ. આ ભાગીદારી અમને એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવામાં મદદ કરશે.” અદાણી ટોટલ ગેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી. મંગલાનીએ પણ આ ભાગીદારીને ગ્રાહકો માટે ફાયદાકારક ગણાવી અને કહ્યું, “આ ભાગીદારીથી અમે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને અમારી ઓફરિંગ્સને વિસ્તારી શકીશું.” મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓ વચ્ચેની બીજી મોટી ભાગીદારી છે. આ પહેલાં, માર્ચ 2024માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અદાણી પાવરના મધ્યપ્રદેશ સ્થિત એક પ્રોજેક્ટમાં 26% હિસ્સો ખરીદ્યો હતો અને તેના 500 મેગાવોટ વીજળીનો ઉપયોગ કેપ્ટિવ વપરાશ માટે કરવાનો કરાર કર્યો હતો. આ નવી ભાગીદારી બંને ઉદ્યોગપતિઓના સંબંધોને વધુ મજબૂત કરે છે અને ભારતના ઊર્જા ક્ષેત્રમાં તેમની સંયુક્ત તાકાત દર્શાવે છે.
ભારતના ઇંધણ રિટેલ બજારમાં પડકારો શું છે ?
ભારતનું ઇંધણ રિટેલ બજાર, જેનું મૂલ્ય $150 અબજ છે, તેમાં લગભગ 97,000 ગેસોલિન અને ડીઝલ આઉટલેટ્સ છે, જેમાંથી 90%થી વધુ રાજ્ય સંચાલિત રિફાઇનર્સ દ્વારા ચલાવવામાં આવે છે. જિયો-બીપી, શેલ ઇન્ડિયા અને નયારા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ આ બજારમાં પોતાનું નેટવર્ક વિસ્તારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જિયો-બીપીએ 2021માં પાંચ વર્ષમાં 5,550 સ્ટેશન્સનું નેટવર્ક બનાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ હાલમાં તે 2,000 આઉટલેટ્સ સુધી જ પહોંચી શક્યું છે. આ ભાગીદારીથી જિયો-બીપીની આ યોજનાને નવું બળ મળી શકે છે.
અદાણી ગ્રૂપનું નયારા એનર્જીમાંથી ન પડ્યું!
અદાણી ગ્રૂપે નયારા એનર્જીમાં રોકાણનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો, કારણ કે ઓઇલ રિફાઇનિંગને સનસેટ ઇન્ડસ્ટ્રી તરીકે જોવામાં આવે છે, જ્યારે વિશ્વ ઝડપથી સ્વચ્છ ઊર્જા અને ડીકાર્બનાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય મોટા ખેલાડીઓ જેવા કે સાઉદી અરામકો, ONGC અને IOCના રાજ્ય-માલિકીના કન્સોર્ટિયમને રોસનૅફ્ટ અને UCPના હિસ્સા ઓફર કરવામાં આવ્યા હતા. જો આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે, તો ટ્રાફિગુરા પણ આગામી મહિનાઓમાં સમાન શરતો પર આ બિઝનેસમાંથી બહાર નીકળી શકે છે. સૂત્રોનું માનવું છે કે નયારા એનર્જી રિલાયન્સ માટે સૌથી વધુ વ્યૂહાત્મક રીતે અનુકૂળ છે.





















